નવી દિલ્હી : સરકાર દ્વારા એવા સમાચારોનું ખંડન કરવામાં આવ્યું છે કે જેમાં કહેવાય રહ્યું હતું કે, નીતિ આયોગ દ્વારા UPSC સિવિલ સેવા પરીક્ષામાં ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદામાં ઘટાડવાની ભલામણ કરવામાં આવી છે.
કેન્દ્રિય રાજ્યમંત્રી ડો. જિતેન્દ્ર સિંહે મંગળવારે જણાવ્યું હતું કે, UPSC ની સિવિલ સેવા પરીક્ષામાં વય મર્યાદામાં ફેરફાર માટે સરકારે કોઇ પણ જાતનું પગલું ઉઠાવ્યું નથી. તેમણે એ પણ જણાવ્યું હતું કે, આ મામલે હાલમાં દેશભરમાં જે અટકળો ચાલી રહી છે એ અટકળો બિલકુલ તથ્ય વગરની છે અને એની પર પૂર્ણવિરામ મૂકી દેવું જોઇએ.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં હાલમાં યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષા આપવા માટે સામાન્ય વર્ગના ઉમેદવારો માટે મહત્તમ વય મર્યાદા 32 વર્ષ, એસસી એસટી માટે મહત્તમ વય મર્યાદા 37 વર્ષ છે.
તમામ સિવિલ સેવા માટે એક જ પરીક્ષા લેવાની વાત કરાઈ
અહી તમને જણાવવું જરૂરી છે કે, ગત દિવસોમાં નીતિ આયોગ દ્વારા ‘ન્યૂ ઇન્ડિયા’ માટે એક વ્યાપક રાષ્ટ્રીય રણનીતિ તૈયાર કરવામાં આવી છે. જેમાં UPSC ની સિવિલ સર્વિસિસ પરીક્ષા આપનારા ઉમેદવારોની મહત્તમ વય મર્યાદા ઓછી કરવા માટેની કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં આવી હતી. આ ઉપરાંત યુપીએસસી સિવિલ સેવા પરીક્ષા ઉપરાંત બુનિયાદી શિક્ષણમાં પણ ઘણા બધા ફેરફારો કરવા માટેની પણ ભલામણ કરવામાં આવી હતી. નીતિ આયોગ દ્વારા પોતાના રિપોર્ટમાં એવું પણ જણાવવામાં આવ્યું હતું કે, સિવિલ સેવા માટે એક જ પરીક્ષા લેવામાં આવે. હાલમાં કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ 60થી વધુ અલગ અલગ પરીક્ષા લેવામાં આવે છે.
નીતિ આયોગે વય મર્યાદા ઘટાડવાની કરી ભલામણ
અહીં ઉલ્લેખનીય છે કે, નીતિ આયોગ દ્વારા નવા ભારત (ન્યૂ ઈન્ડિયા) માટે રણનીતિ@75 શિર્ષક હેઠળ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સિવિલ સર્વિસિસમાં સમાનતા લાવવા માટે એમાં પણ ઘટાડો કરવો જોઇએ. હાલમાં સિવિલ સેવાઓમાં પસંદગી થનારા ઉમેદવારોની સરેરાશ ઉંમર સાડા 25 વર્ષ છે અને ભારતમાં હાલમાં એક તૃતિયાંશ વસતીની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી છે. રિપોર્ટમાં આ પણ સૂચન કરવામાં આવ્યું છે કે, સિવિલ સેવામાં ઉચ્ચ કક્ષાએ વિશેષજ્ઞોની માનદ સેવાને પણ વધુ પ્રોત્સાહન આપવાની જરૂર છે.