કચ્છ,
આનંદ ઉલ્લાસ અને આકાશી દાવપેચના પર્વ મકરસંક્રાંતિને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યો છે. ત્યારે જિલ્લામથક ભુજના બજારોમાં પણ ઉતરાયણના પતંગ-દોરાની ખરીદી શરૂ થવા માંડી છે. જીએસટીના કારણે ભાવોમાં ૧૦ થી ર૦ ટકાનો વધારો નોંધાયો છે.
આ અંગેની વિગતો મુજબ, આ વર્ષે ભુજની બજારોમાં રોકેટ, ચીલ, ઝાલરવાળી તેમજ કાર્ટુનની પતંગો તથા લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી ઈલેકશન પતંગો પણ જોવા મળી રહી છે.
ભુજમાં આ વખતે તૈયાર ફીરકી – માંજાનું ચલણ વધવા પામી રહ્યું છે. જો કે આ વખતે પતંગના ઉત્પાદનમાં ઘટાડો નોંધાતા ભાવ વધવા પામ્યા છે. આ અંગે જાણકારોના જણાવ્યા અનુસાર, સરકારે પતંગ-દોરા પર ૧ર.પ જીએસટી લાદયો છે.
નાના મજુરો ગૃહઉદ્યોગ મારફતે પતંગ બનાવે છે અને વેપારીઓને વેચે છેે. હવે જીએસટી આવી જતાં ટ્રાન્સપોર્ટેશનમાં જીએસટી નંબર હોવો આવશ્યક બન્યો છે. નાના વેપારીઓ પાસે જીએસટી નંબર ન હોતા તેઓ વેપારીઓને માલ પહોચાડી શકતા નથી. પરિણામો બજારમાં માલની અછત સર્જાતા ભાવ વધવા લાગ્યા છે.
જો કે મોટા વેપારીઓ સીધા ગૃહઉદ્યોગના સંપર્કમાં આવી માલની ખરીદી કરે છે. જેથી બજારની સમતુલા જળવાઈ રહે છે. પરંતુ આ જીએસટીની અસર બજાર પર પડી છે તે ચોક્કસ કહી શકાય તેમ છે. ભાવ વધારા અને જીએસટીની બાબતો વચ્ચે પણ ભુજમાં પતંગ-દોરાની ખરીદીનો પ્રારંભ થયો છે. ઉલ્લાસના પર્વમાં લોકો અવકાશી યુધ્ધના પર્વને મનાવવા આતુર બન્યા છે.