નવી દિલ્લી
અમૃતસર ટ્રેનની દુર્ઘટનાએ માત્ર ભારત જ નહી પરંતુ દુનિયાભરના તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું છે. રાવણ દહનના કાર્યક્રમમાં એકત્રિત થયેલા લોકો પરથી ટ્રેન ચાલી જતા ઘટના સ્થળે ૫૯ લોકો મૃત્યુ પામ્યા હતા. ક્યારેય ના ભૂલી શકાય તેવા દ્રશ્યો તે સાંજે સર્જાયા હતા. એક બાજુ લોકો રાવણ દહન નિમિત્તે આનંદ-ઉલ્લાસ કરી રહ્યા હતા તો બીજી તરફ કાળ બનીને આવેલી ટ્રેન નિર્દોષ લોકોને ભરખી ગઈ હતી.
તમને જણાવી દઈએ કે દર વર્ષે ભારતમાં લાખોની સંખ્યામાં લોકો અકસ્માતમાં મૃત્યુ પામે છે જેને નજરઅંદાજ કરવામાં આવે છે. લાખોની સંખ્યામાં નિર્દોષ લોકો અકસ્માતમાં પોતાનું જીવન ટૂંકાવી દે છે.
ભારતમાં અનીર્ધારિત અકસ્માત મામલે નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોએ ચોંકાવનારો આંકડો આપ્યો છે.
વર્ષ ૨૦૦૪ થી વર્ષ ૨૦૧૫ દરમ્યાન અકસ્માતમાં ૩૯ લાખથી વધારે લોકોના મૃત્યુ થયા છે.
જેમાંથી રેલ્વે ટ્રેક પર કે રેલ્વે ક્રોસ કરતી વખતે આટલા વર્ષોમાં ૨૬,૦૦૦ લોકો મોતને ભેટ્યા છે. જેનો મતલબ એમ થાય છે કે દર એક દિવસે ૬ લોકોના મૃત્યુ રેલ્વે અકસ્માતમાં થયા છે.
૧૨ વર્ષના સમયગાળા દરમ્યાન સૌથી વધારે જીવ રોડ અકસ્માતમાં લોકોએ ગુમાવ્યો છે. રોડ અકસ્માતમાં ૧૨ વર્ષમાં ૧૫ લાખ લોકો મૃત્યુ પામ્યા છે.