દિલ્હી: દેશમાં જલદીથી તમામ પ્રકારના સાર્વજનિક પરિવહન સેવાનો ઉપયોગ એક સ્માર્ટકાર્ડ દ્વારા શક્ય બનશે, કારણ કે વન- Nation-વન-કાર્ડ (એક દેશ એક કાર્ડ)નું અંતિમ પરીક્ષણ આગામી કેટલાક મહિનામાં પૂર્ણ થઈ જશે. આ બાબત અંગેની જાણકારી નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી (સીઈઓ) અમિતાભ કાંતે ગુરુવારે કહી હતી. તેમણે જણાવ્યું હતું કે, તમામ હિતધારકોના કન્સલ્ટેશન પછી ‘વન નેશન વન કાર્ડ’ નીતિનું મોટા ભાગનું કાર્ય પૂર્ણ થઈ ગયું છે.
નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે આ અંગે મીડિયાને સંબોધિત કરતા જણાવ્યું હતું, બેંક અને ટેક્નોલોજીને લગતી તમામ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને સંભવતઃ આગામી ત્રણ-ચાર મહિનામાં અમે તેનું અંતિમ પરીક્ષણ કરવાની સ્થિતિમાં હોઈશું. એટલું જ નહી, આ પરીક્ષણ રેલવે, મેટ્રો અને બસોમાં કરવામાં આવી શકે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ યોજના પાછળનો વિચાર એ છે કે, સ્માર્ટ કાર્ડથી મુંબઈમાં યાત્રા કરનારી વ્યક્તિ ઉત્તર પ્રદેશના છેવાડાના વિસ્તારમાં પણ તે જ કાર્ડનો ઉપયોગ કરી શકે. તેમણે કહ્યું કે, આ કાર્ડ ડેબિટ કે ક્રેડિડ કાર્ડના સ્વરુપમાં કામ કરશે.
કાંતે કહ્યું, આ કામ સાથે ઘણી એજન્સીઓ જોડાયેલી છે, જેમાં સેન્ટર ફોર ડેવલપમેન્ટ એન્ડ એડવાન્સ કમ્પ્યુટરિંગ, બેંક અને શહેરી વિકાસ મંત્રાલયનો સમાવેશ થાય છે. આ પહેલા મોટી સંખ્યામાં પ્રૌદ્યોગિકીના કામનો સમાવેશ થાય છે. અમે ઘણી બેઠકો કરી છે અને તમામ મંત્રાલયો આ યોજનામાં સાથે જોડાયેલા છે.
આ યોજનાના અનેક લાભો રહેલા છે,કોઈ પણ વ્યક્તિ દેશના ગમે તે રાજ્યમાં રહેતો હોય તો પણ તે આ કાર્ડ મારફત દેશમાં ગમે તે સ્થળે આ કાર્ડનો ઉપયોગ કરી શકે છે.