અમદાવાદ: સામાન્ય જનતાની પરેશાનીઓ અને સમસ્યાઓનો અંત આવતો હોય તેવું હાલના સંજોગોમાં કોઈ એંધાણ દેખાતા નથી. દિન-પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવવધારા બાદ LPG રાધણ ગેસના ભાવમાં પણ વધારો થઈ ગયો છે. સરકાર દ્વારા એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો લાદવામાં આવ્યો છે. જેના અંતર્ગત સબસિડીવાળા રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 2.89 રુપિયા વધીને 502.4 રુપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગઈ છે. જ્યારે સબસિડી વગરના સિલિન્ડર ઓક્ટોબરમાં 59 રુપિયા મોંઘો થઈ ગયો છે.
ઇન્ડિયન ઓઈલે એક નિવેદન દ્વારા જણાવાયું હતું કે, એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ વધારો ખાસ કરીને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત વધવાથી અને વિદેશી મુદ્રા વિનિમય દરમાં ઉતાર-ચડાવના કારણે કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું છે કે, સબસિડીવાળા સિલિન્ડરની કિંમત પર વાસ્તવિક પ્રભાવ ફક્ત 2.89 રુપિયા પ્રતિ સિલિન્ડર પડશે. તેનું મુખ્ય કારણ તેના ઉપર જીએસટી લાગવાનું છે.
ઓક્ટોબરમાં ગ્રાહકોના ખાતામાં 376.60 રુપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી જમા કરવામાં આવશે, જે સપ્ટેમ્બર 2018માં 320.49 રુપિયા હતી.
સરકાર દ્વારા રસોઈગેસની સબસિડી સીધા લાભાર્થીના ખાતામાં પહોંચાડવામાં આવે છે, જોકે ગ્રાહકોએ સિલિન્ડર બજાર મૂલ્યની કિંમત પર ખરીદવો પડે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતના વધારા-ઘટાડા સાથે સબસિડી રકમમાં ફેરફાર થાય છે.
એલપીજી રાંધણ ગેસમાં ભાવ વધારા બાદ સરકાર દ્વારા સીએનજી ગેસમાં ભાવ વધારો લાદવામાં આવે તેવું આયોજન થઈ રહ્યું છે. સંભવત સોમવારે સીએનજીના ભાવમાં વધારો કરવામાં આવી શકે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર દિન પ્રતિદિન પેટ્રોલ અને ડીઝલના ભાવમાં નાનો-મોટો વધારો થઈ રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલા દિન પ્રતિદિન વધારાના કારણે સામાન્ય જનતા ત્રાહિમામ થઈ ગઈ છે. કારણ કે, પેટ્રોલ અને ડીઝલમાં થઈ રહેલા ભાવ વધારાની પરોક્ષ રીતે અન્ય ચીજવસ્તુઓ પર પણ પડી રહી છે.