ભોપાલ: મધ્ય પ્રદેશમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણી સંદર્ભે ચૂંટણી આચારસંહિતા લાગુ થઈ છે ત્યારથી આજ સુધીમાં ઓથોરિટી દ્વારા રૂપિયા 21.63 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે તેમ ચૂંટણી પંચ (EC)ના સૂત્રોએ જણાવ્યું છે.
આજે રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનર (EC) ઓ.પી. રાવતે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં એકંદરે, રોકડ રકમ અને સામગ્રી મળીને કુલ રૂ. 51.29 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી અંતર્ગત તા. 28 નવેમ્બરના રોજ મતદાન યોજાનાર છે.
મધ્ય પ્રદેશના મુખ્ય ચૂંટણી કમિશનર ઓ. પી. રાવતે જણાવ્યું હતું કે, વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતા લાગુ પડ્યા પછી સત્તા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં રૂ. 21.63 કરોડની રોકડ રકમ, રૂપિયા 7.44 કરોડની કિંમતનું સોનું અને ચાંદી તેમજ રૂ. 6.56 કરોડની રકમની અન્ય સામગ્રીને જપ્ત કરવામાં આવી છે.
તેમણે જણાવ્યું હતું કે, ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રૂપિયા 19 કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી હતી.
મુખ્ય ચૂંટણી કમિશનર ઓ.પી. રાવતે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં આચારસંહિતા લાગુ પડ્યા પછી સત્તા તંત્ર દ્વારા 1.31 લાખ અસામાજિક તત્વોની સામે નોન-બેલેબલ વોરંટ ઈશ્યુ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.