નવી દિલ્હી: ભારતના PM (વડાપ્રધાન) નરેન્દ્ર મોદીને આજે ‘ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ’ પુરસ્કારથી નવાજવામાં આવ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે વડાપ્રધાન મોદીને આ પુરસ્કાર એનાયત કર્યો હતો. ‘ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ’ પુરસ્કાર મેળવ્યા બાદ પીએમ મોદીએ ઉપસ્થિત લોકોને સંબોધન કર્યું હતું. આ કાર્યક્રમમાં પોતાના સંબોધનમાં પીએમ મોદીએ કહ્યું કે ‘ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ’નું સન્માન એ પર્યાવરણની સુરક્ષા માટે ભારતની જનતાની પ્રતિબદ્ધતાનું પરિણામ છે.
પીએમ નરેન્દ્ર મોદીના સંબોધનની મહત્વની કેટલીક બાબતો
– આ ભારતની તે મહાન નારીનું સન્માન છે, જેના માટે સદીઓથી રેસ્ક્યુ અને રિસાઈકલના રોજબરોજના જીવનનો એક ભાગ રહ્યો છે.
– જે છોડમાં પણ પરમાત્માનું સ્વરૂપ જુએ છે. જે તુલસીના પાંદડા પણ તોડે છે તો તે પણ ગણી ગણીને, જે કીડીને પણ અન્ન આપવામાં પુણ્ય ગણે છે.
– આ ભારતના આદિવાસી ભાઈ બહેનોનું સન્માન છે. જે પોતાના જીવનથી વધુ જંગલોને પ્રેમ કરે છે. પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આ સન્માન દેશના દરેક એ માછીમારને સમર્પિત છે જે સમુદ્રમાંથી ફક્ત એટલું જ મેળવે છે જેટલું ઉપાર્જન માટે જરૂરી હોય છે.
પર્યાવરણના ક્ષેત્રમાં અપાતું સૌથી મોટું સન્માન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેનુઅલ મેક્રોનને આ પુરસ્કાર સંયુક્ત રીતે આપવામાં આવ્યો છે. જે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણના ક્ષેત્રમાં આપવામાં આવતો સૌથી મોટો પુરસ્કાર છે. આંતરરાષ્ટ્રીય સૂર્ય ગઠબંધન અને પર્યાવરણીય કાર્યવાહીની દિશામાં નવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપવાની બંને નેતાઓની પહેલ પર આ સન્માન આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
પર્યાવરણમાં ફેરફાર લાવવા માટે લોકોને કરાયા હતા પ્રોત્સાહિત
પીએમ મોદી અને મેક્રોન દુનિયાના એવા છ પ્રબુદ્ધ લોકોમાં સામેલ છે જેમને પર્યાવરણમાં ફેરફાર લાવવા માટે ‘ચેમ્પિયન્સ ઓફ ધી અર્થ’ એવોર્ડ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમમાં કહ્યું કે ‘આ વર્ષે સન્માન મેળવનારાઓએ સાહસી, નવોન્મેષી તથા આપણા સમયના સૌથી મહત્વપૂર્ણ મુદ્દાઓને પહોંચી વળવા માટે કામ કર્યું છે.’