વારાણસી: PM અને વારાણસીના સાંસદ નરેન્દ્ર મોદી શનિવારે મોડી રાત્રે પોતાનો પ્રોટોકોલ તોડીને અચાનક પોતાના સંસદીય વિસ્તારમાં ભ્રમણ પર નીકળી પડ્યા હતા. આ સમયે પીએમ મોદીની સાથે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તેમજ કેન્દ્ર અને પ્રદેશના ઉચ્ચ અધિકારીઓ પણ જોડાયા હતા.
પીએમ મોદીના કાશી ભ્રમણ દરમિયાન કાશીના રસ્તાઓ પર લોકોએ હર હર મહાદેવ અને હર હર મોદીના નારા લગાવી તેમનું અભિવાદન કર્યું હતું. આ દરમિયાન પીએમ મોદીએ યુનિવર્સિટી કેમ્પસમાં સ્થિત વિશ્વનાથ મંદિરમાં જઈને પૂજા-અર્ચના પણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ડીએલડબલ્યૂ સ્થિત રેસ્ટ હાઉસથી અચાનક રાત્રે પોતાના લાવલશ્કર સાથે પીએમ શહેરમાં પરિભ્રમણ કરવા માટે નીકળી પડ્યા હતા. જયારે વડાપ્રધાનનો કાફલો કકરમ્તા ગેટ, ભિખારીપુર તિરાહા, નેવાદ, સુંદરપુર થઈ બીએચયૂ સ્થિત વિશ્વનાથ મંદિર પાસે પહોંચ્યો હતો ત્યારે વડાપ્રધાને અહીં ઉતરી જઈને ભગવાન શિવના દર્શન કરી પૂજા-અર્ચના પણ કરી હતી.
પીએમ મોદીના ઉત્તરપ્રદેશ પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી આજે મિર્જાપુર જશે, જ્યાં તેઓ મેડિકલ કોલેજ ઈમારતનો શિલાન્યાસ કરશે. આ દરમિયાન તેઓ એક જનસભાને પણ સંબોધિત કરશે.
આ સાથે તેઓ બાણસાગર પરિયોજનાનો પણ શુભારંભ કરાવશે. આ પરિયોજનાથી આ વિસ્તારમાં સિંચાઈને પ્રોત્સાહન મળશે, જેના કારણે ઉત્તર પ્રદેશના મિર્જાપુર અને ઈલાહાબાદના ખેડૂતોને ઘણો ફાયદો થશે.
આ ઉપરાંત પીએમ મોદી રાજ્યમાં 108 જન ઔષધી કેન્દ્રોનું પણ ઉદઘાટન કરશે. આ પછી પીએમ મોદી બાલૂઘાટ, ચુનારમાં ગંગા નદી પર બનેલા પુલને પણ જન સમર્પિત કરશે, આ પુલ મિર્જાપુર અને વારાણસી શહેરને જોડશે.
આ પ્રવાસના પહેલા દિવસે શનિવારે પીએમ મોદીએ સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના ગઢ એવા આજમગઢમાં 340 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ-વેનું ઉદઘાટન કર્યું હતું. 340 કિમી લાંબા પૂર્વાંચલ એક્સપ્રેસ-વે બનવાના કારણે સીધો ફાયદો રાજધાની લખનઉ સહિત બારાબંકી, અમેઠી, સુલ્તાનપુર, ફૈઝાબાદ, આંબેડકરનગર, આજમગઢ, મઉ અને ગાજીપુર જેવા પૂર્વ ઉત્તર પ્રદેશના લોકોને થશે.