2019ની ચૂંટણી લગભગ બધા પક્ષો માટે મહત્વની બની છે ત્યારે આ સંજોગોમાં જુદાજુદા સ્થળોએથી નવા નવા નિવેદનો આવી રહ્યા છે. પરંતુ ભાજપના સાથીપક્ષ અને NDA ના સભ્ય એવા રાષ્ટ્રીય લોકસમતા પાર્ટી (RLSP) પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહાએ એવો સનસનાટીભર્યુ સ્ફોટક નિવેદન કર્યું છે કે, એનડીએની અંદરના જ કેટલાક નેતાઓ એવું ઈચ્છતા નથી કે, નરેન્દ્ર મોદી બીજી વખત દેશના વડાપ્રધાન બને.
ઉપેન્દ્ર કુશવાહાએ કેન્દ્રમાં ભાજપની સરકારમાં માનવ સ્ત્રોત વિકાસ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી પણ છે અને તાજેતરમાં જ એમણે એક નવી ચર્ચાને દેશમાં વહેતી મૂકી હતી. એમણે એક રાજકીય ખીર પકાવવાની વાત કરી હતી અને તેને પગલે ઉત્તરપ્રદેશમાં મોટા રાજકીય સમીકરણો ઉભા થવાની ચર્ચાઓ શરુ થઈ ગઈ હતી.
કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ આવું નિવેદન કરીને ભાજપની અંદરના ખટરાગને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છે. કુશવાહાએ જણાવ્યું છે કે, હું કોઈના નામ આપવા માગતો નથી, પરંતુ એનડીએની અંદરના જ કેટલાક નેતાઓની એવી ઈચ્છા છે કે નરેન્દ્ર મોદી ફરી વખત વડાપ્રધાન ન બનવા જોઈએ. એનડીએની અંદર આવા ઘણા બધા નેતાઓ છે, જે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા અટકાવવા માગે છે.
કુશવાહાએ વધુમાં જણાવ્યું હતું કે, આથી આવા લોકો જાણીજોઈને કેટલીક અફવાઓ પણ ફેલાવી રહ્યા છે. તેવા લોકો સમયાન્તરે એનડીએમાં ઘર્ષણ કે ખટરાગ હોવાની વાતો ફેલાવી રહ્યા છે.
જો કે, કુશવાહાએ પોતાની સફાઈ આપતા કહ્યું હતું કે, અમારી પાર્ટી તો એવી જ ઈચ્છા રાખે છે કે, નરેન્દ્ર મોદી જ બીજી વખત વડાપ્રધાન બનવા જોઈએ. પરંતુ એનડીએના સાથી પક્ષોના કેટલાક નેતાઓ આવી ઈચ્છા રાખતાં નથી અને આ માટે એનડીએ અંગે જુદીજુદી જાતની અફવાઓ ફેલાવવામાં આવી રહી છે.