મુંબઇ,
મુંબઈ નિવાસી કરોડો રૂપિયાનો હીરાનો વેપાર કરતા મિલન વિરાણીએ તેમના પરિવાર સાથે દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે.હોંગકોંગમાં રહી ડાયમન્ડ બિઝનેસમાં કરોડો કમાઈ એકદમ વૈભવી જીવન જીવતા મિલન વિરાણી સાથે તેમની પત્ની અને CAનો અભ્યાસ કરતો તેમનો દીકરો રંગબેરંગી વસ્ત્રોનો ત્યાગ કરી સફેદ વસ્ત્રો ધારણ કરશે. વૈભવી જીવન છોડી સંયમના માર્ગે ચાલશે અને જૈન સાધુ-સાધ્વી બની જશે
મિલનભાઈના મોટા દીકરા સંયમે 2014માં સામૂહિક કાર્યક્રમમાં દીક્ષા લીધી હતી અને હવે પરિવારના બાકીના 3 સભ્યો મુમુક્ષુ બનશે.
મીડિયા સાથે વાત કરતા મિલન વિરાણીએ જણાવ્યું કે હું એકદમ હાઈલાઈફ જીવતો હતો.બ્રાન્ડેડ ન હોય તેવી કોઈ વસ્તુ મેં આજ સુધી વાપરી નથી. અમારી પાસે બધું જ છે.પણ જીવનની ખુશીઓ ભૌતિક ચીજોમાં નથી હોતી.બાકીની જિંદગીમાં પુણ્ય કમાવવા માટે મેં સંસારનો ત્યાગ કર્યો છે.
13 માર્ચે મુંબઈના બોરીવલીમાં યોગતિલકસુરીશ્વર મહારાજની હાજરીમાં 44 મુમુક્ષુઓ જૈન સાધુ અને સાધ્વી બનશે. જેમાંથી 23 ગુજરાતના છે. આ કાર્યક્રમમાં 12થી 66 વર્ષના મુમુક્ષુઓ સાંસારિક જીવનનો ત્યાગ કરશે.
દીક્ષા લેનારા મુમુક્ષુઓ ગુજરાતના પાલનપુર અને અમદાવાદ, મહારાષ્ટ્રના મુંબઈ અને પશ્ચિમ બંગાળના કોલકાતા ઉપરાંત દેશના અન્ય શહેરોમાંથી આવે છે.
દીક્ષા કાર્યક્રમની આયોજન કમિટીના સભ્ય રવિન્દ્ર શાહે કહ્યું, ;મુંબઈના જૈન સમાજનું આ સૌથી મોટું ઉપાસક મંડળ છે અને પશ્ચિમ ભારતનો બીજો સૌથી મોટો દીક્ષા સમારોહ છે. ચીકુવાડીમાં આયોજિત આ દીક્ષા મહોત્સવમાં 9થી 13 માર્ચ દરમિયાન દરરોજ 50,000થી વધુ લોકો આવશે તેવી ગણતરી છે;ઈચ્છાઓનો કોઈ અંત નથી.
સુરતની 23 વર્ષીય સિવિલ એન્જિનિયર ભવ્યા શાહે સંસાર છોડી સાધ્વી બનવાનો નિર્ણય કર્યો છે. ડુમસમાં દરિયાકાંઠાનો વિકાસ કરવા સહિતના ઘણા પ્રોજેક્ટમાં કામ કર્યું છે. ટેક્સટાઈલ વેપારીની એકની એક દીકરી ભવ્યાએ કહ્યું, કે મેં સાધ્વીઓનું જીવન જોયું અને તેમનાથી પ્રભાવિત થઈ. લાલચનો કોઈ અંત નથી. હું મહિને 1 લાખ રૂપિયા કમાતી હોઈશ તો વધુ કમાવવાની ઈચ્છા જાગશે. કરોડો રૂપિયા પણ ઈચ્છા સંતોષી શકતાં નથી. મને ખબર છે કે આ પગલું ખૂબ મોટું છે પણ મને આનાથી ખુશી મળશે. મારા પરિવારમાંથી હું નવમી મહિલા છું જેણે સંયમનો માર્ગ અપનાવ્યો છે.