ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી અને દિવગંત એન ડી તિવારીના પુત્ર રોહિત શેખરની હત્યાનો મામલો અંતે પોલિસે ઉકેલી લીધો છે. આ હત્યાના મામલે ક્રાઇમ બ્રાન્ચે અંતે જેની પર શંકાની સોય સેવાઇ રહી હતી તે રોહિતની જ પત્ની અપૂર્વા શુક્લાની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને અપૂર્વા વિરુદ્વ મળેલા ઠોંસ પુરાવાઓ બાદ તેની ધરપકડ કરાઇ છે.
અપૂર્વાએ વારંવાર નિવેદનોમાં ફેરપલટ કરી
પોલિસ સૂત્રો મુજબ રોહિતની પત્ની અપૂર્વા આ મામલે તેના નિવેદનો વારંવાર બદલી રહી હતી. જેને કારણે સમગ્ર મામલામાં તેની તરફ શંકાઓ વધી રહી હતી. રોહિતની હત્યાના રાતને લઇને અપૂર્વાએ તેના નિવેદનોમાં ત્રણવાર ફેરપલટ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચ ઘટના બાદ સતત રોહિતની પત્ની સહિત 6 લોકોની પૂછપરછ કરી રહી હતી.
હત્યાની રાત્રે પણ થયો હતો ઝઘડો
દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે અપૂર્વાની સઘન પૂછપરછ કરીને સત્ય સુધી પહોંચી હતી. રોહિત શેખરની હત્યા બાદ જે રીતે ઘટનાક્રમ રચાઇ રહ્યો હતો તેમ અપૂર્વાએ જ ખુન કર્યું હોય તેવી શંકા મજબૂત બની હતી. જે રાત્રે હત્યા થઇ એ દિવસે પણ રોહિત અને અપૂર્વા વચ્ચે ઝઘડો થયો હતો.
અપૂર્વાએ રોહિતને મહિલા મિત્ર સાથે જોયો હતો
પોલિસ તપાસમાં વધુમાં માલુમ પડ્યું હતું કે અપૂર્વાએ પતિ રોહિતને તેની એક મહિલા મિત્ર સાથે દારૂ પીતા જોઇ હતી. ત્યારે અપૂર્વા તેના માતા-પિતા માટે અલગ મકાન બનાવવા માટે રોહિત સાથે બોલાચાલી કરી હતી. જણાવી દઇએ કે આ જ મામલે અપૂર્વા અને રોહિત વચ્ચે છુટ્ટા હાથની મારામારી થઇ હતી અને આ જ સમયે રોહિતનું ગળુ દબાવીને તેની હત્યાને અંજામ અપાયો હતો.
હત્યા બાદ પુરાવા કર્યા નષ્ટ
પોલિસે અપૂર્વાનું બ્લડ સેમ્પલ અને ઘટનાસ્થળ પર મળેલા લોહીના નમૂના પણ લીધા હતા. તેને હાલ તો લેબમાં ટેસ્ટ માટે મોકલાયા છે. અપૂર્વાએ પુરાવા નષ્ટ કરવા માટે પોતાનો મોબાઇલ પણ ફોર્મેટ કર્યો હતો અને જે રૂમમાં રોહિતની હત્યા થઇ ત્યાંના સીસીટીવી કેમેરામાં અચાનક ખરાબી હોવાની બાબત પણ ઘરના જ કોઇ વ્યક્તિએ આ ઘટનાને અંજામ આપ્યો હોય તે દાવાને મજબૂત બનાવી હતી.