- ભારતનો કોઈપણ સૈનિક મૃત્યુ પામ્યો નથી કે ગંભીર ઇજા પામ્યો નથી
- ચીનના લશ્કરે સરહદ પર યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો, જેને નિષ્ફળ બનાવાયો
- કમાન્ડર મીટિંગમાં ચીનને શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું
અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી અથડામણને લઈને સંસદના બંને ગૃહોમાં વિપક્ષનો હોબાળો ચાલુ છે. આ દરમિયાન રક્ષા મંત્રી રાજનાથ સિંહે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે ભારતીય સેનાએ બહાદુરીથી ચીનને જવાબ આપ્યો. ભારતીય સૈનિકોએ ચીની સૈનિકોને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા. આ દરમિયાન ભારતીય સેનાનો કોઈ જવાન મૃત્યુ પામ્યો ન હતો અને ન તો કોઈ ગંભીર ઈજા થઈ હતી.
રક્ષા મંત્રી રાજનાથ સિંહે કહ્યું કે, હું આ ગૃહને અરુણાચલના તવાંગમાં બનેલી ઘટના વિશે જણાવવા માંગુ છું. 9 ડિસેમ્બર 2022 ના રોજ, PLA જવાનોએ યથાસ્થિતિ બદલવાનો પ્રયાસ કર્યો. અમારી સેનાએ તેનો મજબૂતીથી સામનો કર્યો. આ દરમિયાન મારામારી પણ થઈ હતી. ભારતીય સેનાએ ચીની સૈનિકોને અતિક્રમણ કરતા અટકાવ્યા અને તેમને તેમની પોસ્ટ પર પાછા મોકલી દીધા. આ દરમિયાન અમારી સેનાનો કોઈ જવાન શહીદ થયો ન હતો કે કોઈ ઘાયલ થયો ન હતો.
આ ઘટના પછી, વિસ્તારના સ્થાનિક કમાન્ડરે સ્થાપિત વ્યવસ્થા હેઠળ 11 ડિસેમ્બર 2022ના રોજ તેમના ચીની સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી અને ઘટના અંગે ચર્ચા કરી. ચીની પક્ષને સરહદ પર શાંતિ જાળવવા માટે કહેવામાં આવ્યું હતું. રાજદ્વારી સ્તરે ચીનની સાથે આ મુદ્દો પણ ઉઠાવવામાં આવ્યો છે.
રાજનાથ સિંહે કહ્યું કે, હું આ ગૃહને આશ્વાસન આપવા માંગુ છું કે અમારી સેના અમારી પ્રાદેશિક અખંડિતતાની રક્ષા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે અને તેની વિરુદ્ધ કોઈપણ પ્રયાસને રોકવા માટે હંમેશા તૈયાર છે. મને ખાતરી છે કે આ ગૃહ સર્વસંમતિથી આપણા દળોની બહાદુરી અને હિંમતને સમર્થન આપશે.
9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા. ભારતના 6 ઘાયલ સૈનિકોને ગુવાહાટીમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
આ પહેલા કોંગ્રેસ, RJD, તૃણમૂલ કોંગ્રેસ, AAP સહિત તમામ વિપક્ષી પાર્ટીઓએ રાજ્યસભા અને લોકસભામાં આ મુદ્દા પર તાત્કાલિક ચર્ચાની માંગ કરતી નોટિસ આપી છે. બીજી તરફ પીએમ મોદીએ કેબિનેટની બેઠક પણ બોલાવી છે.
આ પણ વાંચોઃ