આજે દેશના સૌ પ્રથમ ગૃહમંત્રી અને લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મતિથી છે. આ દિવસને દેશભરમાં ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ તરીકે મનાવવામાં આવે છે. આ અવસરે દિલ્લીમાં દેશની એકજુથતા માટે “રન ફોર યુનિટી”નું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દોઢ કિમી લાંબી આ દોડને લીલી ઝંડી બતાવી હતી.
આ પ્રસંગે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વેંકયા નાયડુ, ગૃહમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન રાઠોડ ખાસ ઉપસ્તિથ રહ્યા હતા. આ ઉપરાંત ક્રિકેટર સુરેશ રૈના, મહિલા ક્રિકેટર મિથાલી રાજ અને હોકી ખેલાડી સરદારસિંહ પણ ઉપસ્થિત રહ્યા હતાં.
રન ફોર યુનિટીને લીલી ઝંડી બતાવતા પહેલા ત્યાં ઉપસ્થિત ૧૫૦૦૦ થી વધુ લોકોને પીએમ મોદીએ સપથ લેવાડ્યા હતા. લોકો સમક્ષ સપથ લેવડાવતા તેઓએ કહ્યું, “હું સત્યનિષ્ઠાથી શપથ લઉ છું કે રાષ્ટ્રની એકતા, અખંડતા અને સુરક્ષાને બનાવી રાખવા માટે સ્વયંને સમર્પિત કરી દઈશ અને દેશવાસીઓ વચ્ચે આ સંદેશ ફેલાવવાનો પણ પ્રયત્ન કરીશ. હું આ શપથ દેશની એકતાની ભાવનાથી લઈ રહ્યો છું. જેને સરદાર વલ્લભભાઈ પટેલની દૂરંદેશી તથા કાર્યો દ્વારા શક્ય બનાવી શકાયા છે. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પણ આત્મનિષ્ઠાથી શપથ લઉ છુ. ભારત માતા કી જય.”
આ પહેલા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપ-રાષ્ટ્રપતિ વેંકયા નાયડુ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી રાજનાથ સિંહે સરદાર પટેલને દિલ્હીના પટેલ ચોક ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આજે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની પણ પુણ્યતિથિ છે ત્યારે પીએમ મોદીએ ટ્વીટ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી તેમજ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી સહિતના મહાનુભાવોએ સ્વ. વડાપ્રધાન અને લોખંડી મહિલા તરીકે જાણીતા ઈન્દિરા ગાંધીની સમાધી શક્તિ સ્થળે જઈ શ્રદ્ધાંજલી અર્પી હતી.