નવી દિલ્હી,
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે લંડન પહોંચી રહ્યા છે, જ્યાં તેઓ કોમનવેલ્થ દેશોના સંમેલનમાં ભાગ લેશે. વડાપ્રધાનનો આ પ્રવાસ ખૂબ જ મહત્વનો મનાઈ રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદી લંડન પહોંચતા અગાઉ 16 એપ્રિલે સ્વીડન પહોંચશે. સ્વીડનમાં રહેતાં ભારતીયો સાથે વાતચીતની સાથે સાથે 17 એપ્રિલે સ્ટોકહોમમાં ઇન્ડિયા-નોર્ડિક સમીટમાં ભાગ લેશે.
પીએમ મોદી 16થી 21 એપ્રિલ દરમિયાન વિદેશ પ્રવાસે રહેશે.
૫૩ દેશોના કોમનવેલ્થ સંમેલનમાં ભારત હવે મોટી ભૂમિકા માટે તૈયાર છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ પ્રવાસ દરમિયાન અલગ અલગ દેશો સાથે અનેક મહત્વના સમજુતિ કરાર થઈ શકે છે.
પીએમ મોદી યુકેની મુલાકાત દરમિયાન ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઓફ આયુર્વેદ એન્ડ કોલેજ ઓફ મેડીસીનને લોન્ચ કરશે. ઇંગ્લેન્ડમાં ભારત દ્રારા આવા પ્રકારનું પહેલું આયુર્વેદ સેન્ટર હશે. આ સેન્ટરમાં આયુર્વેદ અને યોગાનું પણ ખાસ રિસર્ચ થશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી મહારાણી એલિઝાબેથને પણ મળવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સમાવેશ ટોચના એ ૩ નેતાઓમાં થયો છે. જેમને મહારાણી એલિઝાબેથ આયોજીત કાર્યક્રમમાં ભાગ લેવા મળશે. માનવામાં આવી રહ્યુ છે કે, કોમનવેલ્થ ગ્રુપ ભારતની વૈશ્વિક મહત્વકાંક્ષાઓને નવી ઊંચાઈ પર લઈ જવામાં મદદરુપ સાબિત થઈ શકે છે. કોમનવેલ્થ સમિટમાં ભારત પોતાની નાણાંકીય ભાગીદારી ડબલ કરવાની તૈયારીમાં છે. જે એ બાબતનો સંકેત છે કે ભારત કોમનવેલ્થમાં મોટી અને મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા માટે તૈયાર છે. આ માટે નવી દિલ્હીમાં તૈયારીઓ પણ શરુ થઈ છે.
૨૦૦૯ બાદ પ્રથમ વખત એવુ બનશે જ્યારે ભારતના વડાપ્રધાન કોમનવેલ્થ સમિટમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યુ છે કે કોમનવેલ્થ રાષ્ટ્રોના નેતાઓ આ મંચ પર એકસાથે આવવા અંગે ચર્ચા કરી શકે છે. કોમનવેલ્થ માટે આ નવી શરુઆત સમાન છે.
૧૮ એપ્રિલે વડાપ્રધાન મોદીનો સમગ્ર દિવસ દ્વિપક્ષીય બેઠકોમાં વ્યસ્ત રહેશે. ત્યારબાદ પ્રિન્સ ચાર્લ્સે તેમના માટે ઈવેન્ટનુ પણ આયોજન કરેલ છે. આ ઈવેન્ટમાં ભારત અને બ્રિટેન વચ્ચે ટેકનીકલ ક્ષેત્રે સહયોગ પ્રદર્શિત કરવામાં આવશે. ૧૮ એપ્રિલે રાત્રે વડાપ્રધાન મોદી બ્રિટેનના વડાપ્રધાન થેરેસા સાથે ડિનર કાર્યક્રમમાં ભાગ લેશે. જ્યારે ૧૯ એપ્રિલે તેઓ મહારાણી એલિઝાબેથ સાથે મુલાકાત માટે બંકિઘમ પેલેસ પહોંચશે.