કટ્ટરવાદી મુસ્લિમ નેતા અને ધર્મગુરુ જાકિર નાઈક પર ભારતમાં ધાર્મિક ભાવના ભડકાવવાના અને રાષ્ટ્રદ્રોહના કેસ થયા બાદ તેણે મલેશિયામાં આશ્રય લીધો છે. પોતાના બોડીગાર્ડ સાથે નાઇક મલેશિયાના પાટનગરની પુત્રા મસ્જિદમાં રહે છે. આ મસ્જિદમાં મલેશિયાના પ્રધાનો નમાઝ પઢે છે.
બ્રિટને ઝાકીર પર પ્રતિબંધ મૂક્યા પછી મલેશિયાએ તેને રાજ્યાશ્રય આપ્યો છે અને સરકારી અધિકારીઓ તેની સરભરા કરે છે. મલેશિયામાં પણ જાકિર નાઈકના વિરોધીઓ છે. મલેશિયામાં ખ્રિસ્તી, હિન્દુ અને બૌદ્ધો જેવા લઘુમતીઓની નોંધપાત્ર વસતી છે.
મલેશિયામાં વડાપ્રધાન નજીબ રજાકના શાસનમાં મુસ્લિમ ધર્મ રાજકારણમાં મહત્ત્વનો બન્યો છે. ઉલ્લેખનીય છે કે ૫૨ વર્ષીય ડોક્ટર જાકીર નાઇક કટ્ટર મુસ્લિમ નેતા છે તે ઓસામા બિન લાદેનનો સમર્થક છે. ભારતમાં એન.આઇ.એ. દ્વારા તેની સામે ધાર્મિક લાગણી ભડકાવવાના કેસ નોંધ્યા છે. નાઇકના પ્રવચનોનું પ્રસારણ કરતી પીસ ટીવીને બાંગ્લાદેશે બંધ કરી દીધું હતું.
મલેશિયાના મુસ્લિમોમાં આ કટ્ટરવાદી નેતા લોકપ્રિય બન્યો છે એટલે જ મલેશિયાની સરકારે તેને આશ્રય આપ્યો છે. જો કે મલેશિયાના નાયબ વડાપ્રધાને જણાવ્યું હતું કે જાકીરે પાંચ વર્ષ અગાઉ મલેશિયામાં આશ્રય માંગેલો તેને કોઈ વિશેષ સુવિધા અપાતી નથી. મલેશિયાની કટલીક સંસ્થાઓએ જાકીર નાઇકને કાઢી મૂકવાની માંગણી કરતી અરજી કોર્ટમાં કરી છે.