માતૃત્વ : ભાવિની વસાણી
અત્યારે બાળકોના શિક્ષણ માટે ચિંતિત વાલીઓ તેના વહાલસોયાને શાળા દ્વારા ઓનલાઇન શિક્ષણ અપાવી રહ્યા છે. અમુક કલાકો કરતાં વધારે મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન સામે રહેવું તે ખરેખર નુકસાનદાયક હોવાનું એક વર્ગ કહી રહ્યો છે. તો બીજો વર્ગ બાળકોની સ્માર્ટનેસ મુજબ શાળાઓ દ્વારા અપાઇ રહેલા આ શિક્ષણની ફેવર કરી રહ્યો છે. ત્યારે આજે આપણો મુખ્ય વિષય છે બાળકની અંદર ‘ભોળપણ’ સારું કે ‘સ્માર્ટનેસ’ ? આજના વાલીઓ દ્વારા જીવાતી હાઇટેક જિંદગીમાં ‘સ્માર્ટ ટી.વી’ અને ‘સ્માર્ટ ફોન’ની જેમ બાળકો પણ સ્માર્ટ બન્યા છે, ત્યારે અત્યારે બે પ્રકારના વાલીઓ જોવા મળે છે. બાળકની ‘સ્માર્ટનેસ’ બદલ પોરસતા વાલીઓ અને આ સ્માર્ટ બાળકોની વચ્ચે ભોળા રહી ગયેલા બાળકોની ચિંતા કરતા ઓવરપ્રોટેક્ટેડ વાલીઓ. તો ખરા અર્થમાં શું હોવું જોઈએ ? બાળકોમાં ‘ભોળપણ’ હોવું જોઈએ કે પછી હાઇટેક યુગની ‘સ્માર્ટનેસ’ ? એ એક પેચીદો પ્રશ્ન બની ગયો છે.
આર.જે. ધ્વનિતે તેના ‘મોર્નિંગ મંત્ર’માં “બાળકોનુ ભોળપણ ક્યાં ખોવાઈ ગયું છે?” વિશે સુંદર દ્રષ્ટાંત આપ્યા હતા. જેમાં એક નાનકડું બાળક તેના મમ્મી પાસેથી એકડો લખતા શીખે છે. ત્યારબાદ મમ્મી કામમાં હોય ત્યારે તે બાળક ડ્રોઈંગરુમની આખી દીવાલ એકડા થી ભરી મૂકે છે. આ વખતે મમ્મી પૂછે છે કે આ શું કર્યું ? બાળક કહે છે કે મેં નથી કર્યું પેન્સિલે કર્યું છે ? મમ્મી પૂછે છે કઈ રીતે ? બાળક સમજ આપે છે કે મમ્મી પેન્સિલની અંદર એટલા બધા એકડા ભરેલા છે કે નીકળ્યા જ કરે છે… નીકળ્યા જ કરે છે…! બાળકોમાં રહેલી આવી કાલીઘેલી ભાષામાં બોલાતી નિર્દોષતાનું અન્ય એક ઉદાહરણ પણ તેણે આપ્યું હતું. એકવાર નાનકડું ટેણીયુ તેના બેડની ચાદર પર સ્કેચપેન થી કઈ ચિતરામણ કરી રહ્યું હતું. મમ્મી પૂછે છે કે આ શું દોરે છે ? બાળક જણાવે છે કે ભગવાન દોરી રહ્યો છું. માતા કહે છે કે ભગવાનને તો કોઈએ જોયો નથી. ત્યારે બાળક જણાવે છે કે હું દોરીશને એટલે દુનિયાને ખબર પડશે કે આને ભગવાન કહેવાય. બાળકો દ્વારા કાલીઘેલી ભાષામાં બોલાતા આવા કુતૂહલ ભરેલા પ્રસંગો હવે એ જવલ્લે જ જોવા મળે છે.
આજે બાળક હાઈટમાં નાનું દેખાતું હોય પરંતુ મગજ થી ખૂબ મોટું જણાય છે. અત્યારના મોટાભાગના બાળકો માતાના ગર્ભમાંથી ઘણું બધું શીખી ને જ આવ્યા હોય છે અને ખૂબ જ સ્માર્ટ હોય છે. આવા બાળકોની સ્માર્ટનેસ બદલ માતા-પિતા ગર્વ લેતા અનુભવતા જોવા મળે છે કે તેનું બાળક કેટલું હોશિયાર છે. ધ્વનિત જણાવે છે કે રિયાલિટી-શોમાં નાના બાળકો જે બોલે છે તે કોઈ બાળક બોલતું હોય તેવું નથી બોલતા. જાણે કોઈ તરુણ કે યુવાન વ્યક્તિ બોલતી હોય તેવું તે બોલે છે. આના માટે માતા-પિતા જ મોટા ભાગે જવાબદાર હોય છે. મોટાભાગના માતા-પિતા એવું કહે છે કે અત્યારે સ્પર્ધાત્મકતા માટે ટકી રહેવું હોય તો બાળકને મોટા બનાવવા પડે. પરંતુ બાળકને જલ્દી મોટા બનાવી અને ક્યાં જવું છે ? અને કઈ જંગ જીતવાની છે ? માતા-પિતા દ્વારા બાળકના હાઇટેક ઉછેર સાથેના આ પ્રકારના સ્માર્ટકિડ્સની હોશિયારી આગળ જતા માતા-પિતાને ભારે પડી શકે છે. એવું આ ચર્ચાનો સાર છે.
બીજી બાજુએ આપણે જોતા હોઈએ છીએ કે ઘણા બાળકોની અંદર ભોળપણ યથાવત્ હોય છે. આ બાળકોને તેના માતા-પિતા ‘કેરિંગ’ અને ‘શેરિંગ’ના પાઠ ભણાવે છે. તેના ઘરમાંથી આપવામાં આવેલા આ પાઠના કારણે બાળકો મુગ્ધતા ધરાવતા હોય છે.એક વખત એક વાલી આવી અને બાળકોના કાઉન્સેલર પાસે ફરિયાદ કરે છે કે તેની દીકરી ખૂબ જ ભોળી છે માટે તેને તેમની બિલ્ડિંગમાં તેઓ નીચે રમવા જવા દેતા નથી. કારણ કે બધા તેનો ઉપયોગ કરી જાય છે. તેને રમાડવી હોય ત્યારે રમાડે અને નહિ તો એકલી પાડી દે છે પછી આ દીકરી દુઃખી થાય છે. અને માતા-પિતા હોવાના નાતે તેઓ તેની દીકરીને દુઃખી થવા દેવા માગતા નથી માટે દીકરીને નીચે રમવા જવા દેતા ડરે છે. જ્યારે તેનાથી વિપરીત અન્ય એક વાલીનો પ્રશ્ન પણ આ કાઉન્સેલર પાસે આવે છે કે જેમાં એક ઘરમાં સંયુક્ત પરિવારમાં ત્રણ ભાઈ-બહેનો સાથે રહે છે. જેમાં આ ત્રણમાં મોટો ભાઈ છે તે થોડો ભોળોહોય તેનો ફાયદો નાની બહેન ઉઠાવે છે. પોતાની ભૂલ બદલ ભાઈને માર ખવડાવી દે, કે પછી ભાઈ પાસેથી તેના રમકડા કે વસ્તુઓ પડાવવા માટે થઈને ભાઈને અન્ય બે બહેનો સાથે મળી અને રમવા માટે લાગણી સભર ડ્રામા કરેછે. આવા સંજોગોમાં કોઈપણ માતા-પિતાને તેના બાળકના ભોળપણ બદલ ચિંતા થાય તે સ્વાભાવિક છે. અને પોતે જે તકલીફોમાંથી પસાર થયા તેમાંથી પોતાના બાળકો પસાર થાય તેવું તેઓ ઇચ્છતા નથી માટે તેઓ બાળકને ઘરની અંદર જ રાખે છે. જેના કારણે બાળકો શારીરિક રમત ન રમી શકવાના કારણે અન્ય બાળકોમાં ભળી શકતા નથી. જેથી આ બાળકો એકલા પડી જાય છે.
આ વખતે બાળકોના કાઉન્સેલર જે જવાબ આપે છે તે સાંભળવા જેવો છે, તેઓ જણાવે છે કે ..તમારા જીવનમાં જે અનુભવ થયો તે જ બાળકને થાય તેવું જરૂરી નથી. બીજું કે તમને એવો ખતરો લાગતો હોય કે તમારા બાળકોને તેના આસપાસના મિત્રો છેતરી જાય છે. આવું ત્યારે જ બની શકે કે જ્યારે તમે સારા અંકલ-આંટી ન હોય. સારા માતા-પિતા બનવા માટે પહેલા સારા અંકલ આંટી બનવું પડે છે. એવું આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરજી જણાવે છે. અને સારા અંકલ આંટી બનવા માટે બાળકોના દરેક મિત્રોને આદર અને સત્કાર આપવા જોઈએ. મહિનામાં એકાદવાર બાળકોના મિત્રોને બોલાવી અને તેની સાથે નાની-મોટી પાર્ટી તમારી ઘરે ગોઠવો. જેમાં બધા જ ભાગીદાર હોય. તમે બધા બાળકોને રમાડી શકો, વાર્તા કહી શકો તેવો ઘરોબો કેળવવો જરૂરી છે. ત્યારબાદ આ બાળકો તમને માન આપતા હશે. જેથી તમારા બાળકને પણ નુકસાન નહીં પહોચાડી શકે.
આ ચર્ચાનું મુખ્ય તારણ એ જ છે કે બાળકોને વધારે પડતા સ્માર્ટ ન બનાવવા જોઈએ. તમારું બાળક એ તમારી નાની પ્રતિકૃતિ છે, કોઈ પ્રોડક્ટ નથી કે તમે તેને જમાના મુજબ સ્માર્ટ બનાવી અને દુનિયા સામે પ્રદર્શન કરીને ગર્વની અનુભૂતિ કરો..! બાળકને વધારે પડતું ટોકી ટોકીને અને ઠોકી ઠોકીને ઉમર કરતા વધારે પરિપક્વ ન બનાવો. બાળક જો સ્માર્ટ હોય તો બની શકેતો તેની અંદર રહેલા ભોળપણને ટકાવી રાખવાની દરેક વાલીઓએ કોશિશ કરવી. અને ભોળપણ ગાયબ હોય તો તેની અંદરથી બહાર નીકળે તેની કોશિશ કરવી જોઈએ. કારણકે બાળપણની અંદર રહેલી મુગ્ધતામાં જ સાચો આનંદ હોય છે એ વાલીઓએ સમજી જવું પડશે. આ ઉપરાંત બાળપણ વીતી જશે તો બીજી વખત નહિ આવે એ પણ યાદ રાખવું જોઈએ.