સ્વતંત્રતા દિવસની 75મી વર્ષગાંઠ નિમિત્તે ‘આઝાદી કે અમૃત મહોત્સવ’ના ભાગરૂપે, ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ (ITBP)ના જવાનો ચીન સાથેની વાસ્તવિક નિયંત્રણ રેખા પરના 75 પર્વત શિખરો પર ચઢશે. ITBPના પ્રવક્તા વિવેક કુમાર પાંડેએ જણાવ્યું હતું કે ‘અમૃતરોહણ’ નામનું પર્વતીય અભિયાન 15 ઓગસ્ટના રોજ પૂર્વ સરહદે વિવિધ સ્થળોએથી શરૂ થશે.
પ્રવક્તા વિવેક કુમાર પાંડેએ વધુમાં જણાવ્યું હતું કે જે પર્વત શિખરો પર ચઢવાનું છે તે LAC પર ITBPની 75 બોર્ડર પોસ્ટની નજીક સ્થિત છે. ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસના પ્રવક્તા, પાંડેએ કહ્યું, “આમાંથી 33 શિખરો લદ્દાખમાં, 16 ઉત્તરાખંડમાં, 11 સિક્કિમમાં, 10 હિમાચલ પ્રદેશમાં અને પાંચ અરુણાચલ પ્રદેશમાં છે. એ પણ જણાવ્યું કે ITBPના હિમવીર 15 ઓગસ્ટ 2022ના રોજ આ 75 અલગ-અલગ શિખરો પર ચડશે અને સાથે મળીને રાષ્ટ્રધ્વજ અને ત્રિરંગો ફરકાવશે.
ITBP અધિકારીએ જણાવ્યું કે સૌથી ઉંચુ પર્વત શિખર 18,750 ફૂટ છે અને તે સિક્કિમમાં સ્થિત છે. એ જ રીતે, ITBP એ LAC સાથે 75 દિવસ લાંબી ‘રિલે રેન્જ પેટ્રોલ’ (LRP) શરૂ કરી છે. તેમણે કહ્યું કે રિલે એલઆરપી 1 ઓગસ્ટના રોજ લદ્દાખના કારાકોરમ પાસથી શરૂ થઈ હતી અને 75 દિવસ પૂરા કર્યા પછી તે 14 ઓક્ટોબરે અરુણાચલ પ્રદેશના જાચેપ લા ખાતે સમાપ્ત થશે. આ દરમિયાન સરહદ પર લગભગ 7,575 કિલોમીટરનું અંતર કાપવામાં આવશે. નોંધનીય છે કે આવતીકાલે દેશ 76મો સ્વતંત્રતા દિવસ મનાવશે. જેની તૈયારી પૂર્ણ થઈ ગઈ છે.