Amreli News: રાજ્યમાં ખરાબ રસ્તાઓને (Bad Road) લઈને લોકોના જાગેલા જનઆક્રોશના પગલે ભાજપના નેતાઓ પણ તેનું પ્રતિબિંબ પાડવા મંડ્યા છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે (Dr Bharat Kanabar) નવા બનેલા અને તૂટી ગયેલા રસ્તાઓને લઈને ટ્વીટ કર્યુ છે કે નવા બનેલા રસ્તાઓ તૂટે છે અને ભુવા પડે છે ત્યારે ફક્ત રસ્તા તૂટતા નથી ભરોસો પણ તૂટે છે.
આ પ્રકારનું નબળું કામ કરનારા કોન્ટ્રાક્ટરને (Contractor) દંડ ફટકારવાથી જ વાત પૂરી થઈ જતી નથી. કોન્ટ્રાક્ટરનો દંડ ચૂકવી દેશે અને પછીના કોન્ટ્રાક્ટમાંથી રકમ વસૂલી લેશે. પણ આ કામગીરીનું સુપરવિઝન કરવાની જવાબદારી છે તેવો સરકારી પગાર લેતા એન્જિનિયરો અને અન્ય કર્મચારીઓને આ ખરાબ રસ્તા બદલ દંડ કરવામાં કેમ આવતો નથી. હવે જો તેઓ પૂરતી જવાબદારી નીભાવતા ન હોય કે નીભાવવા અક્ષમ હોય તો આટલો જંગી પગાર શેનો લે છે.
આવા રસ્તા પર હડદોલા ખાતા ખાતા પસાર થતો આમ આદમી ખાલી મનમાં બબડતો રહેશે તો ક્યારેય તેની હાડમારીનો અંત આવશે નહિ. તેણે તો જ્યાં જ્યાં નબળું કામ થતું હોય ત્યાં ત્યાં તેની સામે નીડરતાથી અવાજ ઉઠાવવો પડશે ! “આપ મૂઆ વિના સ્વર્ગે ના જવાય” તેમ પોતાના હકોની લડાઈ તો લોકોએ જાતે જ લડવી પડશે. તેમણે આ સંદર્ભમાં વડાપ્રધાન મોદીજીને ટેગ કરીને ટવીટ કર્યુ છે.
ખરાબ રસ્તા કંઈ ફક્ત એક જ શહેરની વાત નથી, દરેક શહેરની વાત છે. અમરેલી જેવા નાના શહેરોમાં લોકોને જો સારા રસ્તા ન મળે અને તેઓએ તેના માટે તલસવું પડે તે ક્યાંની વાત છે. આ બાબત ફક્ત ચોમાસા પૂરતી જ સીમિત નથી. આ કાયમની રડારોળ છે. આ દિશામાં કોઈ નક્કર કાર્યવાહી કરવાનો સમય આવી ગયો છે.
આ પણ વાંચો: ભરૂચમાં મુખ્ય રસ્તાઓ જ બિસ્માર થતાં લોકોને હાલાકી અને ટ્રાફિક જામ
