@ નિકુંજ પટેલ
કચ્છ પંથકના બાહુબલી નેતા જયંતિ ભાનુશાળી મર્ડર કેસ પર મંતવ્ય ન્યુઝ ચેનલની વિશેષ રજૂઆત. મંતવ્ય વેબ પોર્ટલ પર આજથી વાંચો સેક્સકાંડ, મર્ડર, રાજકારણ અને કાવાદાવાથી ભરપૂર મર્ડર મિસ્ટ્રી. (ભાગ – 5)
રાંચી-જમશેદપુરનો પ્લાન નિષ્ફળ જતા છબીલ પટેલ અને જ્યંતી ઠક્કર સમસમી ગયા હતા. તમામ તૈયારીઓ કરી લીધા પછી પણ હાથમાં આવેલો શિકાર છટકી ગયાની લાગણી બન્નેને થઈ રહી હતી. આથી છબીલ અને જ્યંતી ઠક્કરે જ્યંતી ભાનુશાળીની હત્યા કેવી રીતે કરવી તેની ચર્ચા વિચારણ કરી હતી.
અચાનક છબીલ પટેલના મગજમાં એક વિચાર ઝબક્યો. જ્યંતી ભાનુશાળી અવારનવાર ટ્રેનની મુસાફરી કરે છે એવી છબીલને જાણ હતી. છબીલ પટેલને પહેલેથી ખબર હતી કે જ્યંતી ભાનુશાળી અવારનવાર અમદાવાદ-ભૂજ વચ્ચે મુસાફરી કરે છે. જેમાં સયાજીનગરી અથવા કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં જ્યંતી ભાનુશાળીની મુસાફરી વધારે રહેતી હતી.
જ્યંતી ભાનુશાળીને ચાલુ ટ્રેનમાં જ ઢાળી દેવાનું નક્કી કરી છબીલ પટેલે ભાનુશાળીની ટ્રેન મુસાફરીની રજેરજની માહિતી અન્ય લોકો પાસેથી મંગાવવાનું શરૂ કર્યું. અંતે ભૂજથી મોડી રાત્રે અમદાવાદ જતી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસ કરતા હોય ત્યારે જ ભાનુશાળીને ખતમ કરવાનું કાવતરુ છબીલ પટેલે ઘડી કાઢ્યું. આ મોડસ ઓપરેન્ડી અજમાવીને હત્યાને અંજામ આપવા સંદર્ભે છબીલ પટેલે વિશાલ કાંબળે તથા શશીકાંત ઉર્ફે બિટીયા દાદા કાબળે સાથે વોટ્સએપ પર ચર્ચા પણ કરી લીધી.
દરમિયાન 5 જાન્યુઆરી 2019ના રોજ કચ્છના અબડાસા વિસ્તારમાં રાતા તળાવ પાસે મનજીભાઈ ભાનુશાળીની ગૌશાળા ખાતે ગૌરક્ષણ અભિયાલ-રેલી કાર્યક્રમ રાખવાનું આયોજન થયું હતું. જેની આમંત્રણ પત્રિકામાં જ્યંતી ભાનુશાળીને પણ મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા. જ્યંતી ભાનુશાળી આ કાર્યક્રમમાં ચોક્કસ હાજર રહેશે એ બાબતથી છબીલ પટેલ પુરો વાકેફ હતો.
બીજી તરફ છબીલ પટેલે જ્યંતી ભાનુશાળીની હત્યા કરવા આગોતરા આયોજનની શરૂઆત કરી દીધી. જેમાં રોડ રસ્તાની રેકી માટે મનીષા ગોસ્વામી, સુજીત પરદેશી ઉર્ફે ભાઉની ગેંગને 27 ડિસેમ્બર 2018નાં રોજ અમદાવાદ ખાતે બોલાવી હતી. આ પ્લાન મુજબ સુજીત પરદેશી, નિખીલ થોરાટ અને શશીકાંત કાંબળે અને મનીષા ગોસ્વામીની વોક્સવેગન વેન્ટો કારમાં 27 ડિસેમ્બર 2018ના રોજ પૂણે (મહારાષ્ટ્ર)થી અમદાવાદ આવવા માટે રવાના થયા હતા.
બીજે દિવસે સવારે અંદાજે પોણા દસ વાગ્યે તેઓ અમદાવાદના હંસપુરા નરોડા વિસ્તારમાં પહોંચી ગયા હતા. જ્યારે મનીષા 27 ડિસેમ્બર 2018નાં રોજ સવારે વાપી રેલ્વે સ્ટેશનથી ટ્રેનમાં અમદાવાદ આવવા નીકળી હતી અને બપોરે કાલુપુર રેલ્વે સ્ટેશન પર આવી પહોંચી હતી. તે દિવસે આ તમામ આરોપીઓ અમદાવાદમાં જ રોકાયા હતા.