કોચિ,
ગયા અઠવાડિયે કેરળમાં વરસાદી આફતે અકલ્પનીય તારાજી સર્જ્યા પછી સોમવારે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લેતાં લાખો લોકોને આંશિક રાહત થઇ છે. રવિવારનો દિવસ કેરળ માટે થોડો રાહતનો દિવસ રહ્યો હતો. રવિવારે ધીમી ઝરમર ચાલું રહી હતી. જોકે, ભલે કેરળમાં પૂરનું પાણી ઓછું થવા લાગ્યું હોય પરંતુ પૂરના કારણે તેની સામે મસમોટા પડકારો આવી ઉભા છે. પૂરના કારણે સાત લાખ લોકો આશરે 5,645 કેમ્પમાં આશરો લઈ રહ્યાં છે.
કેરળમાં હાલ પુરથી અસરગ્રસ્ત 7 લાખથી વધુ લોકો રાહત છાવણીઓમાં શરણ લઇ રહ્યાં છે.રાજ્યમાં પુરના કારણે 370 જેટલી જીંદગીઓ જતી રહી છે.
કેરળમાં વરસાદે આરામ લેતાં વિમાની સર્વિસ શરૂ કરવામાં આવી છે.કોચ્ચિ એરપોર્ટ પર પાણી ઓસરતાં સોમવારથી અહીંથી વિમાની સેવા શરૂ કરવામાં આવી છે.કોચ્ચિ એરપોર્ટ પરથી રાહત સામગ્રી લઇને આવી રહેલાં પ્લેનને લેન્ડ કરવામાં આવી રહ્યાં છે.
કેરળમાં વરસાદી આફતના કારણે બેઘર થયેલા લાખો લોકોના પુનર્વસનનો સૌથી મોટો પડકાર રાજ્ય સરકાર સામે આવીને ઉભો છે.એ સિવાય રાજ્યમાં 10,000 કિલોમીટીરના રસ્તાઓ ધોવાયા છે અને અનેક ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.
રાજ્યમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે રેસક્યુ ઓપરેશન ચાલુ રાખીને રાહત સામગ્રી પણ પહોંચાડવાનું કામ શરૂ કર્યું છે.
રવિવારથી વરસાદ અટકતાં રાજ્યમાં અનેક સ્થળો પર પૂરનું પાણી તો ઓસર્યું પણ હવે પાણીજન્ય રોગોનો ખતરો ઉભો થયો છે. હેલ્થ એક્સપર્ટ્સના જણાવ્યાનુસાર પ્રાણી અને માનવી એમ બન્નેમાં લેપ્ટોસ્પાયરોસિસ થવાની શક્યતા અનેક ગણી છે. આ ઉપરાંત એક અંદાજ મુજબ રસ્તા રિપેર કરવાનો ખર્ચ પણ 4,441 કરોડ જેટલો અનુમાનિત કરવામાં આવ્યો છે.