માલદીવની સંસદમાં વિપક્ષ અને શાસક પક્ષના સાંસદો વચ્ચે જોરદાર હંગામો થયો હતો… સાંસદોએ એકબીજા પર મુક્કા પણ માર્યા હતા. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુની કેબિનેટમાં ચાર મંત્રીઓના સમાવેશને લઈને માલદીવની સંસદમાં હંગામો શરૂ થયો હતો, ત્યારે આ ચર્ચા મારામારીમાં પરિણમી અને પછી સરકાર અને વિપક્ષના સાંસદો વચ્ચે મારામારી થઈ હતી… આ મોહમ્મદ મુઇઝુ માટે મોટો ફટકો છે કારણ કે તેઓ ચાર નવા સભ્યોને કેબિનેટમાં લાવી શક્યા નથી, અને આ પછી સરકાર તરફી નેતાઓએ સંસદની બહાર વિરોધ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે.. તેઓ નવા કેબિનેટ સભ્યો માટે મંજૂરીની માંગ કરી રહ્યા છે.
તો વિપક્ષી માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સે રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની કેબિનેટમાં નવા મંત્રીઓને મંજૂરી ન આપવાનો નિર્ણય લીધા બાદ સત્તાધારી પીપલ્સ નેશનલ કોંગ્રેસ, પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ અને PNCની ગઠબંધન સરકાર મંત્રીઓ, પક્ષના અધિકારીઓ અને સરકારી સમર્થકો સાથે વાતચીત કરી રહી છે, અને બહાર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યાં છે. સરકારના સૌથી વરિષ્ઠ મંત્રી અબ્દુલ રહીમ અબ્દુલ્લાએ મંત્રીઓને મંજૂરી આપવાના ઇનકારને સરકારને કામ કરતા રોકવાનો પ્રયાસ ગણાવ્યો હતો અને આ ઘટના પાછળ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહનો હાથ હોવાનો આરોપ મૂક્યો હતો.
તો વિપક્ષ સામે શાસક પક્ષનો રોષ જોવા મળ્યો હતો, સંસદના વિકાસ પર નારાજગી વ્યક્ત કરતા, શાસક પક્ષોના ગઠબંધને કહ્યું કે મંત્રીઓને મંજૂરી આપવાનો વિપક્ષનો ઇનકાર જાહેર સેવાઓમાં ખુલ્લેઆમ અવરોધ ઊભો કરવા સમાન છે. મંત્રીઓની કામગીરીનું મૂલ્યાંકન કર્યા વિના અને તેમને કોઈ તક આપતા પહેલા વિરોધ અગમ્ય છે. ગઠબંધનએ કહ્યું કે રાજકીય પક્ષો રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત મંત્રીઓને મંજૂરી આપવા માટે બંધાયેલા છે. રાષ્ટ્રપતિ તરીકે લોકો દ્વારા યોગ્ય રીતે ચૂંટાયેલી વ્યક્તિની ફરજ છે કે તે તેની નીતિઓને અમલમાં મૂકવા માટે સક્ષમ લોકોને મંત્રી તરીકે નિયુક્ત કરે. એમાં કોઈ શંકા નથી કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત કરાયેલા મંત્રીઓ સક્ષમ અને અનુભવી વ્યક્તિઓ હતા જેઓ તેમની જવાબદારી નિભાવશે. આ મંત્રીઓ જનતાના કલ્યાણને પ્રાથમિકતા આપીને કામ કરે છે તેમાં ગઠબંધનને કોઈ શંકા નથી, અને આવી સ્થિતિમાં નવા કેબિનેટ સભ્યોને મંજૂરી આપવી જોઈએ.
માલદીવની સંસદમાં ચાર સભ્યોની મંજૂરીને લઈને હોબાળો થયો છે,તેમાં એક આર્થિક અને વેપાર વિકાસ મંત્રી મોહમ્મદ સઈદ, બીજા આવાસ અને શહેરી વિકાસ મંત્રી અલી હૈદર, ત્રીજા ઈસ્લામિક બાબતોના મંત્રી મોહમ્મદ શહીમ અલી સઈદ અને ચોથા એટર્ની જનરલ અહેમદ ઉશમ છે . માલદીવની વિપક્ષી પાર્ટી એમડીપીએ નિર્ણય લીધો છે કે નવા કેબિનેટ સભ્યોને મંજૂરી આપવામાં આવશે નહીં. સત્તાધારી ગઠબંધનના સ્પીકર અસલમ પર પણ પક્ષપાતનો આરોપ છે. ગઠબંધનએ કહ્યું છે કે તેણે રાજકીય પક્ષના હિતોને આગળ વધારવા માટે પોતાના પદનો દુરુપયોગ કર્યો છે. સત્તાધારી પક્ષોએ સ્પીકર મોહમ્મદ અસલમ અને ડેપ્યુટી સ્પીકર અહમ સલીમ સામે અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી છે.
બીજી તરફ વિપક્ષ ભારતની તરફેણમાં છે અને શાસક પક્ષ ચીનની તરફેણમાં છે.માલદીવમાં સત્તાધારી પક્ષ અને વિપક્ષ વચ્ચે સતત ટક્કર ચાલી રહી છે, ત્યારે ભારત સાથે બગડતા સંબંધોને લઈને વિપક્ષી નેતાઓએ પણ મોહમ્મદ મુઈઝુ પર સતત નિશાન સાધ્યું છે. માલદીવમાં મોટાભાગની વિપક્ષી પાર્ટીઓ ભારત પ્રત્યે નરમ વલણ ધરાવતી માનવામાં આવે છે. ત્યારે વિપક્ષી એમડીપીએ જાહેરમાં મુઈઝુ સરકારના ભારત પ્રત્યેના વલણ પર ચિંતા વ્યક્ત કરી હતી. માલદીવની સરકાર હાલમાં ચીન તરફ ઝુકેલી છે. રાષ્ટ્રપતિ મુઈઝુને ભારત વિરોધી અને ચીનના સમર્થક માનવામાં આવે છે અને તેઓ પદ પર આવતા પહેલા જ આ વલણ વ્યક્ત કરી ચૂક્યા છે. તે સતત ચીનની નજીક જવા અને ભારત પર નિર્ભરતા ઘટાડવાનો પ્રયાસ કરી રહ્યો છે, ત્યારે વિપક્ષ એમડીપી અને ડેમોક્રેટ્સનું કહેવું છે કે માલદીવ અને ભારત વચ્ચેના સંબંધો ઘણા જૂના છે, તેથી સંબંધો બગાડવા જોઈએ નહીં.
આપને જણાવી દઈએ કે માલદીવની સંસદમાં શાસક અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલ હંગામો હજુ પણ ચાલુ જ છે. મુખ્ય વિપક્ષ માલદીવાન ડેમોક્રેટિક પાર્ટીનું સંસદીય જૂથ રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવા માટે સંમત થઈ ગયું છે, તો ચીન તરફી રાષ્ટ્રપતિ મુઈઝુની ભારત વિરોધી નીતિઓને ધ્યાનમાં રાખીને વિરોધ પક્ષો આ પ્રસ્તાવ લાવવા માટે સહમત થયા છે. એમડીપીને અન્ય વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સનું સમર્થન પણ છે. વિરોધ પક્ષોએ સંસદની અંદર અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો, જેનો શાસક પક્ષે જોરદાર વિરોધ કર્યો હતો. MDP અને ધ ડેમોક્રેટ્સ પાસે એટલા બધા સાંસદ છે કે તેઓ મુઈઝુને સરળતાથી ખુરશી પરથી હટાવી શકે છે. એક અહેવાલ અનુસાર, એક MDP નેતાએ કહ્યું કે મુઇઝુ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા પાછળનું એક મુખ્ય કારણ વર્તમાન સરકારના ભારત સાથેના સંબંધોને જોખમમાં મૂકવાનું છે. મુઈઝૂ માલદીવની પ્રોગ્રેસિવ પાર્ટી અને તેની પોતાની પીપલ્સ નેશનલ કોંગ્રેસ સાથે જોડાઈ છે. ગયા વર્ષે, નિયમોમાં ફેરફાર કરીને, સંસદને અધિકાર આપવામાં આવ્યો હતો કે સૌથી મોટી પાર્ટી MDP લઘુમતી પક્ષોના સમર્થન વિના મુઇઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે. મુઈઝુ સામે મહાભિયોગ પ્રસ્તાવ માટે 54 મતોની જરૂર છે, જ્યારે વિપક્ષી MDP પાસે 56 સાંસદો છે.
આ સિવાય નવા સુધારા હેઠળ મહાભિયોગ માટેની સમિતિમાં જરૂરી સભ્યોની સંખ્યા ઘટાડીને હવે 7 કરી દેવામાં આવી છે. આ સિવાય હવે તમામ પક્ષોના સભ્યો આ સમિતિનો ભાગ બને તે જરૂરી નથી. આ મહાભિયોગ પ્રસ્તાવ એવા સમયે આવવા જઈ રહ્યો છે જ્યારે માત્ર 24 કલાક પહેલા માલદીવની સંસદ સર્કસ બની ગઈ હતી અને સત્તાધારી અને વિપક્ષો વચ્ચે ભારે હોબાળો થયો હતો. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો અને આ પછી વિપક્ષી દળોએ મુઈઝુ સરકારના 4 મંત્રીઓના નામને મંજૂરી આપી ન હતી.
તો હવે ભારત વિરુદ્ધ ઝેર ઓકનારા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુ ખતરામાં છે. પૂર્વ રાષ્ટ્રપતિ સોલિહની પાર્ટી એમડીપી પાસે સંસદમાં બહુમતી છે. આવી સ્થિતિમાં મોહમ્મદ મુઈઝુની ખુરશી પર સંકટના વાદળો છવાઈ રહ્યા છે. બીજી તરફ, માલદીવના બિઝનેસ ટાયકૂન અને જુમહૂરી પાર્ટીના નેતા કાસિમ ઈબ્રાહિમે કહ્યું છે કે ચીનની યાત્રા પરથી પરત આવ્યા બાદ મુઈઝુએ ભારત વિરુદ્ધ પરોક્ષ શાબ્દિક હુમલા કરવા બદલ નવી દિલ્હીની માફી માંગવી પડશે.
માલદીવના મીડિયા અનુસાર, 13 જાન્યુઆરીએ ચીનથી પરત ફર્યા બાદ મુઈઝૂએ કહ્યું હતું કે માલદીવ કોઈ ખાસ દેશનો પછવાડો નથી અને તે કોઈ દેશને તેને ધમકી આપવા દેશે નહીં. મુઈઝુના આ નિવેદન બાદ હોબાળો થયો હતો અને માલદીવના વિપક્ષી નેતાઓએ જોરદાર પ્રહારો કર્યા હતા. માલદીવના સાંસદ કાસિમે કહ્યું, ‘હું માલદીવના રાષ્ટ્રપતિ મુઈઝૂને તેમના નિવેદન માટે ભારત સરકાર અને પીએમ મોદીની ઔપચારિક અને વ્યાવસાયિક રીતે માફી માંગવા વિનંતી કરીશ.’ તો કાસિમે કહ્યું કે મુઇઝ્ઝુએ લાગણીમાં આવીને ભારત વિરોધી નિવેદન આપ્યું હતું. વધુમાં કાસિમે કહ્યું કે, ‘પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીને અશાંતિ ફેલાવવા માટે ઇન્ડિયા આઉટ અભિયાન શરૂ કર્યું હતું જેથી માલદીવના લોકો અને ભારતના લોકો વચ્ચે મતભેદો સર્જાય. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સોલિહે તેની સામે કોઈ પગલાં લીધા ન હતા અને તેમને ઈન્ડિયા આઉટ અભિયાન ચલાવવાની મંજૂરી આપી હતી. જો કે, જ્યારે આ ઝુંબેશ વધી ત્યારે તેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મુઈજ્જુએ એમ પણ કહ્યું હતું કે તે ભારત પર માલદીવની નિર્ભરતા ઘટાડશે. ભારતમાંથી હલકી ગુણવત્તાની દવાને બદલે અમે યુરોપ અને અમેરિકાથી આયાત કરીશું. મુઈઝુના આ નિવેદન પર કાસિમે કહ્યું કે ભારત દવાના મામલામાં ઘણું આગળ છે અને યુરોપ પણ ભારતમાંથી ઘણી દવાઓ આયાત કરે છે.
તમને જણાવી દઈએ કે ભારત અને માલદીવ વચ્ચે તણાવ ચરમ પર છે, ત્યારે મોહમ્મદ મુઈઝુ ચીનના ઈશારે સતત કામ કરી રહ્યો છે. ભારતીય સૈનિકોને માલદીવ છોડવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ સૈનિકો માલદીવના બીમાર લોકોની મદદ માટે છે. તે જ સમયે, મુઇઝુએ ભારત સાથે હાઇડ્રોગ્રાફી કરાર સમાપ્ત કરીને ચીન સાથે હાથ મિલાવ્યા છે. ચીની જાસૂસી જહાજ માલદીવ પહોંચવાનું છે. ભારતે આનો સખત વિરોધ કર્યો છે. તો ભારત સાથેના વિવાદ વચ્ચે મુઈઝુ ચીનની મુલાકાતે ગયા હતા અને જિનપિંગ સાથે અનેક કરારો કર્યા હતા, ત્યાંથી પાછા આવ્યા પછી, મુઇજ્જુએ ઝેર ફૂંકવાનું શરૂ કર્યું છે.. ત્યારે ત્યાંની વિપક્ષી પાર્ટીઓ આનો જોરદાર વિરોધ કરી રહી છે અને મુઈઝુ પાસેથી ભારત અને પીએમ મોદીની માફી માંગવાની માંગ કરી રહી છે.