મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ સોમવારે જણાવ્યું હતું કે કર્ણાટકના લોકો કેન્દ્રના અમલી વિકાસ પ્રોજેક્ટ્સની ગતિ જાળવી રાખવા માટે ડબલ એન્જિનવાળી સરકારને પસંદ કરશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પ્રચારના છેલ્લા દિવસે ઉડુપીમાં પત્રકારો સાથે વાત કરતા શિંદેએ કહ્યું હતું કે કેન્દ્ર અને રાજ્યમાં બે અલગ-અલગ સરકારો મોટી યોજનાઓના અમલીકરણમાં અવરોધ ઉભી કરે છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્ર હવે કેન્દ્ર સરકારના પૂરા દિલથી સહકાર સાથે પ્રોજેક્ટ્સ અમલમાં મૂકી રહ્યું છે અને કર્ણાટકને પણ ડબલ એન્જિન સરકારનો લાભ મળ્યો છે કારણ કે કેન્દ્રએ છેલ્લા ચાર વર્ષમાં રાજ્યના પ્રોજેક્ટ્સ પર હજારો કરોડ રૂપિયા ખર્ચ્યા છે.
સીએમ એકનાથ શિંદેએ કહ્યું કે, જો કેન્દ્ર અને રાજ્યમાં એક બીજાના વિરોધમાં પક્ષો હોય તો વિકાસમાં અવરોધ આવે છે. તેમણે કહ્યું, “મહારાષ્ટ્રમાં ડબલ એન્જિનની સરકાર કામ કરી રહી છે અને કર્ણાટકમાં તે ફરી થવી જોઈએ.” મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ કહ્યું કે તેમણે બેંગલુરુ અને મેંગલુરુમાં વિવિધ વર્ગના લોકો સાથે વાત કરી છે અને તેમને વિશ્વાસ છે કે લોકો જંગી બહુમતી સાથે ભાજપની સરકાર બનાવશે.
તેમણે કહ્યું કે કર્ણાટકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ-શો અને રેલીઓએ ભાજપની તરફેણમાં ત્રાજવું નમાવ્યું છે. “વડાપ્રધાને તેમના કાર્ય દ્વારા G20 ના પ્રમુખપદ સહિત વિશ્વમાં અમારા માટે ગૌરવનું સ્થાન મેળવ્યું છે,” તેમણે કહ્યું. કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં અસામાજિક પ્રવૃત્તિઓ કરવા બદલ બજરંગ દળ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવ પર શિંદેએ કહ્યું કે બજરંગ દળ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દેશભક્તિના સંગઠનો છે. મહારાષ્ટ્ર અને કર્ણાટક વચ્ચેના મુદ્દાઓ પર, તેમણે કહ્યું કે સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આવશે કારણ કે બંને રાજ્યો પરંપરાગત સાંસ્કૃતિક સંબંધો ધરાવે છે