‘ચિનગારી કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે, સાવન જો આગ લગાયે ઉસે કૌન બુઝાયે’ આ જૂની હિન્દી ફિલ્મનું જાણીતું ગીત છે….હાલમાં વડોદરા જિલ્લાના ડભોઈમાં કરનાળી ખાતે નર્મદા કિનારે આવેલા કુબેરભંડારી (KuberBhandari) ના મંદિરને બરોબર લાગુ પડે છે…. મંદિરમાં લોકો સામાન્ય રીતે માનસિક શાંતિ અને આસ્થા સાથે આવતા હોય છે, હવે તે જ મંદિર શ્રદ્ધાના બદલે સમરાંગણ બને ત્યારે શું થાય…. ગુજરાતના આ જાણીતા કુબેર ભંડારી મંદિરમાં બિલકુલ આવું જ થઈ રહ્યું છે….
કુબેર ભંડારી મંદિરના ટ્રસ્ટીઓ (Trustees) રીતસરના સામસામે છે…. પાંચ ટ્રસ્ટીઓમાં બે જૂથ પડી ગયા છે. તેમા બે ટ્રસ્ટી હિન્દી ભાષી અને ત્રણ ટ્રસ્ટી ગુજરાતી છે…. આ ટ્રસ્ટીઓ એવા બાખડ્યા છે કે આખો મામલો ચેરિટી કમિશ્નર સુધી ગયો છે….કુબેરભંડારી મંદિરના વહીવટમાં (Administration) ત્રણ ટ્રસ્ટીઓએ નાણાકીય વ્યવહારના આક્ષેપો કર્યા છે….
ત્રણ ગુજરાતી ટ્રસ્ટીઓ પરિન્દુભાઈ ભગત (Parindubhai Bhagat), ભરતભાઈ ભગત (Bharatbhai Bhagat) અને નિરંજનભાઈ વૈદ્યએ (Niranjanbhai Vaidhya) સામેના બે ટ્રસ્ટી મહંત નંદગીરી ગુરુ નિરંજન દેવ (Mahant Nandgiri Guru Niranjan Dev) અને મહંત દિનેશગીરી (Mahant Dineshgiri) સામે અરજી કરી છે…. આના પગલે ચેરિટી કમિશ્નરે (Charity Comissoner) મંદિરના વહીવટને લઈને સ્થિતિ જાળવવા 11મી એપ્રિલ સુધી કોઈપણ પ્રકારની નાણાકીય કામગીરી ન કરવાનો આપ્યો હતો….
આના કારણે પરિસ્થિતિ એવી આવી હતી કે કુબેરભંડારી મંદિરને તાળા લાગી ગયા હતા અને અમાસના દિવસે પણ લોકો દર્શન નહીં કરી શકે તેવી સ્થિતિ ઉદભવી હતી…. આ વિવાદ એટલો બધો વકર્યો છે કે સ્થાનિક ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમા ઝંપલાવવું પડ્યું છે…. તેમણે આ વિવાદનો ઉકેલ લાવવા માટેની દિશામાં પ્રયત્નો પણ આદર્યા છે….
આ વિવાદના કારણે પરિસ્થિતિ એવી આવી હતી કે શનિવારે અમાસ હતી તે દિવસે હજારો ભાવિકો દર્શન વગરના રહી જાય તેમ માનવામાં આવતું હતું… આ તનાવગ્રસ્ત વાતાવરણમાં શૈલેષ મહેતા મોડી રાત્રે 12 વાગે મંદિર પહોંચ્યા હતા અને કપાટ ખોલીને અમાસના દર્શન ભક્તો માટે ખુલ્લા મૂક્યા હતા… આમ તેમની મધ્યસ્થીએ ભક્તોને રઝળાવતા અટકાવ્યા હતા….શૈલષ મહેતાએ ટ્રસ્ટી મંડળ અને પૂજારીઓ સાથે પોલીસ સ્ટેશને જઈને હાલમાં કામચલાઉ ઉકેલ લાવવામાં સફળતા મેળવતા મંદિરના દરવાજા ખૂલ્યા હતા….
આશ્ચર્યની વાત તો એ છે કે હજી દોઢ વર્ષ પહેલાં જ કુબેર ભંડારી મંદિરમાં શ્રી કુબેરેશ્વર સોમેશ્વર સંયુક્ત ટ્રસ્ટ (Shri Kubereshwar Joint Trust) માં નવા ટ્રસ્ટીઓ સાથે નવા ટ્રસ્ટીમંડળની રચના થઈ હતી….આટલા ટૂંકા ગાળામાં મંદિરના વહીવટી અંગે ટ્રસ્ટના સભ્યોમાં વાદવિવાદ અને વિખવાદ થવા લાગ્યો છે…. ચેરિટી કમિશ્નર પાસે ગયેલા નિરંજન વૈદ્ય, ભરત ભગત અને પરિન્દુ ભગતનો દાવો છે કે મંદિરના વહીવટ યોગ્ય રીતે થતો નથી. બે હિન્દીભાષી ટ્રસ્ટીઓ તેમની દાદાગીરી કરી રહ્યા છે….
મંદિરમાં દર્શનાર્થે આવતા શિવભક્તોને પણ આશ્ચર્ય થઈ રહ્યું છે કે આ વિવાદ શેનો છે…. શું ટ્રસ્ટીઓની નજર કુબેરના ખજાના પર છે કે ટ્રસ્ટીઓ બે જુદાં-જુદાં પ્રાંતના હોવાના લીધે આ વિવાદ થયો છે…. આ સિવાય ટ્રસ્ટી મંડળમાં કોઈ દાદાગીરી કરી રહ્યું છે કે ટ્રસ્ટી મંડળના સભ્યોના અહમ ઘવાયા હોવાના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે…. શું આ વિવાદની પાછળ જૂના જોગીઓનો હાથ છે જેવા અનેક સવાલો મંદિરના દર્શનાર્થે આવતા શિવભક્તોના મનમાં થઈ રહ્યા છે…. આ બતાવે છે કે આ વિવાદ હવે શ્રદ્ધાળુઓ પર પણ અસર કરી રહ્યો છે….
ચેરિટી કમિશ્નરના આદેશનો ભંગ કરીને શુક્રવારે મંદિરના તુષાર ભટ્ટ સહિતના પૂજારીઓને પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓ દ્વારા બાઉન્સર બોલાવી ટીંગાટોળી કરીને મંદિરની બહાર હાંકી કાઢવામાં આવતા વાતાવરણ ગરમ થઈ ગયું હતું…. તેના પગલે મંદિરના સંકુલમાં તરત જ પોલીસ બોલાવવામાં આવી હતી….પોલીસે પછી બધાને મંદિરમાંથી બહાર કાઢીને મંદિરને તેના સંરક્ષણ હેઠળ લીધું હતું, જેથી આગળ કોઈ વિવાદ ન થાય. આમ મંદિર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું….
આ બંને ટ્રસ્ટીઓ પંચાયતી અખાડા (Panchayati Akhada) સાથે જોડાયેલા છે… ત્રણેય ગુજરાતી ટ્રસ્ટીઓનો આક્ષેપ છે કે આ બંને ટ્રસ્ટીઓ મંદિરના લાખો રૂપિયા પંચાયતી અખાડાના ખાતામાં ટ્રાન્સફર કરી રહ્યા છે….તેથી તેઓના હસ્તક મંદિરની વિવિધ કામગીરી અને વહીવટને રોકવાની રજૂઆત કરી હતી….આના પગલે ચેરિટી કમિશ્નરે મહંત દિનેશગીરી અને મહંત નંદગીરી ગુરુ નિરંજનદેવ પર મંદિરનો વહીવટ કરવા પર 11 એપ્રિલ સુધી પ્રતિબંધ ફરમાવ્યો હતો… ત્રણેય ટ્રસ્ટીઓની વિનંતીના પગલે પછી આ મનાઈહુકમ 15 મે સુધી લંબાવી આપવામાં આવ્યો છે…
ટ્રસ્ટીઓનો આરોપ છે કે મહંત નંદગીરી અને દિનેશગીરી બારોબાર લાખો રૂપિયાનો વહીવટ ખાતામાંથી રકમ ટ્રાન્સફર કરીને કરી રહ્યા છે…. આમ કરીને તેઓ પાંચ હજારથી વધુ રકમના વ્યવહાર માટે ટેન્ડર બહાર પાડવાનો નિયમનો ભંગ કરી રહ્યા છે….તેમણે લાખો રકમ પંચાયતી અખાડાના ખાતામાં ટ્રાન્સફર કરી છે, કેમકે તેઓ તેની સાથે જોડાયેલા છે….આમ તેઓ રીતસર મંદિરના રૂપિયાની ઉચાપત જ કરી રહ્યા છે તેમ તેઓનું કહેવું છે. તેથી તેઓની સામેની વર્તમાન અરજીનો ચુકાદો ન આવે ત્યાં સુધી તેઓ સંસ્થાને લગતા કોઈપણ પ્રકારના વ્યવહાર ન કરી શકે તથા ચેરિટી કમિશ્નર જ તેનો વહીવટ તેના હસ્તક લઈ લે તેવી દાદ માંગી હતી….
આ ઘટના બતાવે છે કે ગુજરાતના આસ્થાના કેન્દ્રો કહેવાતા મંદિરો વિવાદના કેન્દ્રો બન્યા છે…. થોડા સમય પહેલા ભવનાથના અંબાજી મંદિરનો વિવાદ હતો, ભારતી બાપુના આશ્રમનો વિવાદ હતો, મહેશગીરી અને હરિગીરી વચ્ચે વિવાદ હતો અને શિવરાત્રીના મેળામાં માથાકૂટ થશે તેમ કહેવાતુ હતુ…. તેના પછી સ્વામિનારાયણ સાધુઓનો સનાતન ધર્મ અંગેના બફાટનો વિવાદ ચાલ્યો જે બતાવે છે કે ગુજરાતમાં કોઈને કોઈ બાબતને લઈને ધાર્મિક વિવાદ સતત ચાલતા જ રહે છે…. એક વિવાદ માંડ પૂરો થયો હોય, ત્યાં બીજો શરૂ થાય છે…. હવે કુબેર ભંડારીના મંદિરના ટ્રસ્ટીઓનો વિવાદ તો ચેરિટી કમિશ્નર સુધી તો પહોંચી જ ગયો છે, પણ શું તેનો સુખદ ઉકેલ આવશે કે હવે આ વિવાદ આગળ કોર્ટમાં જશે… આ વિવાદમાં ભાષા વિવાદ કે પ્રાંતવાદનું ભૂત પણ ધૂણશે?… તેની સાથે અગત્યની વાત એ છે કે આ વિવાદ ટ્રસ્ટીઓ વચ્ચે છે તો પછી ભોગ શ્રદ્ધાળુઓ શું કામ બને, ટ્રસ્ટીઓને શ્રદ્ધાળુઓનો વિચાર કેમ આવતો નથી. ટ્રસ્ટીઓમાં ટ્રસ્ટ ન હોય ત્યારે આ સ્થિતિ આવે છે.
આ પણ વાંચો: મુસલમાનોએ કરેલા અત્યાચાર ભૂલવાના નથી, ભૂલ્યા તો ગયા સમજોઃ નીતિન પટેલ
આ પણ વાંચો: દેશમાં દર 20 મિનિટે થાય છે એક રેપ
આ પણ વાંચો: ભ્રષ્ટાચારને છૂટો દોર આપતું ધ ગુજરાત સ્ટેમ્પ અમેન્ડમેન્ટ બિલ 2025 !