કચ્છમાં કોરોના મહામારી કાળો કહેર વરસાવી રહી છે કોવિડના કારણે મૃત્યુઆંકમાં પણ વધારો થઈ રહ્યો છે જેના કારણે સ્મશાનગૃહમાં લાકડાઓ ખૂટી પડતા સેવાભાવી ખેડૂતો દ્વારા મદદ કરવામાં આવી રહી છે.
ભૂજની જી.કે.જનરલ હોસ્પિટલમાં કોરોનાના કારણે મોતના આંકડા સતત વધી રહ્યા છે. સરકારી ચોપડે 5 થી 6 મોતના કિસ્સાઓ ચડાવાય છે. પણ વાસ્તવિક સ્થિતિમાં દરરોજ 20 થી વધુ લોકો મોતને ભેટી રહ્યા છે. જેના કારણે અંતિમવિધિ માટે સ્મશાનમાં ધસારો વધતા લાકડા પણ ખૂટી પડ્યા છે. ભુજની સમીપે આવેલા 60 હજારની વસ્તી ધરાવતા માધાપર ગામમાં પણ બીમારીથી મોતના બનાવો વધ્યા છે. જેના કારણે ખેડૂતો સ્મશાનગૃહમાં લાકડા આપી રહ્યા છે. ગામના ઉપસરપંચ અરજણભાઈ ભુડિયાએ જણાવ્યું કે,હું અને મારી ટીમ તેમજ ગામના ખેડૂતો લાકડા ભેગા કરી રહ્યા છીએ. વાડીમાં જે સૂકા લાકડા પડ્યા હોય તેને ભેગા કરી સ્મશાનમાં પહોંચાડીએ છીએ. છેલ્લા સપ્તાહથી દરરોજ 2 થી વધુ ટ્રોલી લાકડા એકત્ર કરી સ્મશાનમાં મોકલાવીએ છીએ. લોકો પણ આ મહામારીમાં સહયોગ આપી રહ્યા છે.