@કૌશિક છાયા, મંતવ્ય ન્યૂઝ, કચ્છ
કચ્છનાં માંડવી તાલુકાના જખણિયા ગામે સામુહિક હત્યાકાંડનો બનાવ બનતા નાનકડા ગામમાં અરેરાટી છવાઈ ગઈ છે કોરોના મહામારીના કારણે લોકડાઉનની મંદી અને આર્થિક સંકડામણમાં પરિવારનો જીવનનિર્વાહ ચલાવવાની બાબતમાં પિતાએ પોતાની ત્રણ ફૂલ જેવી દીકરીઓ અને પત્નીને મોતને ઘાટ ઉતારી દેતા માતમ ફેલાઈ ગયો છે.
માંડવી તાલુકાના જખણીયા ગામે ઘરના મોભીએ જ પત્નીને પરાણે ઝેર પીવડાવી દીધા બાદ ત્રણ દીકરીને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી જઘન્ય સામૂહિક હત્યાકાંડને અંજામ આપતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે ચાર-ચાર હત્યાને અંજામ આપ્યા બાદ આરોપી નાસી છૂટ્યો છે. ઘટનાના પગલે પોલીસ અધિકારીઓ સ્થળ પર દોડી ગયાં છે અને આરોપીને ઝડપી લેવા સઘન તપાસ શરૂ કરી છે મળતી માહિતી પ્રમાણે,35 વર્ષિય આરોપી શિવજી ઊર્ફે જખુ પચાણ (સંઘાર)એ આજે સવારે તેની પત્ની ભાવના (ઉ.વ.32)ને બળજબરીપૂર્વક ઝેર પીવડાવી દીધું હતું. પતિ ઝેર પીવડાવતો હતો ત્યારે ભાવનાએ બુમાબુમ કરતાં આસપાસના લોકો એકઠાં થઈ ગયા હતા અને ભાવનાને હોસ્પિટલે સારવાર માટે તેડી ગયા હતા. ભાવનાએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. આ દરમિયાન, શિવજીએ ઘરમાં રહેલી તેની ત્રણ માસૂમ દીકરી ધર્મિષ્ઠા (ઉ.વ.02), કિંજલ (ઉ.વ.07) અને તૃપ્તિ (ઉ.વ.10)ને તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી મારી નાખી હતી. ત્રણેય દીકરીની હત્યા બાદ દરવાજાને લૉક મારી તે નાસી છૂટ્યો હતો. ગ્રામજનોએ ઘરે જઈ દરવાજો ખોલતાં અંદર ત્રણ ત્રણ દીકરીઓની લોહી નીંગળતી લાશ પડી હતી. બનાવ અંગે જાણ થતાં માંડવી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. નાયબ પોલીસ અધિક્ષક અને જિલ્લા પોલીસ વડા પણ ઘટનાસ્થળે દોડી ગયાં હતા હત્યારા શિવજીને પકડવા વિવિધ ટીમ બનાવાઈ છે. એક જ પરિવારમાં ચાર-ચાર લોકોની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર ગુજરાતમાં ભારે ખળભળાટ મચાવી દીધો છે.
દરમિયાન એક વાત એવી પણ સામે આવી છે કે,આર્થિક સંકડામણના લીધે આ બનાવ બન્યો છે. શિવજી મજૂરીકામ કરી પેટિયું રળી ખાતો હતો શિવજીની બે નાની દીકરીઓનો શારીરિક વિકાસ કોઈ બીમારીના કારણે યોગ્ય રીતે થતો નહોતો. આ બાબત અંગે પણ શિવજી ઘણો પરેશાન રહેતો હતો જેની દવાઓ પણ ચાલુ હતી એકતરફ લોકડાઉન બાદ ધંધા રોજગારમાં માં મંદી આવી ગઈ છે તેવામાં બીમારીની સારવાર અને વિકટ સ્થિતિમાં ઘરનો સંસાર ચલાવવો વિકટ બની ગયો છે સમગ્ર ગુજરાતમાં આ સ્થિતી છે ત્યારે આવા કિસ્સા સમાજ માટે લાલબતિરૂપ છે.