Gandhinagar News : ગુજરાત વિધાનસભામાં આજે કૃષિ, સહકાર, માહિતી પ્રસારણની માગણીઓ મુદ્દે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ પોતાના વિચારો રજૂ કર્યા હતા જેમાં તેમણે સરકારની નીતિઓ, નિયત અને બજેટને કારણે આજે ગુજરાતમાં ખેતી અને ખેડૂત બન્ને બરબાદ થઇ રહ્યો હોય એવા આક્ષેપ કર્યા.
અમિત ચાવડાએ ગૃહમાં સંબોધનમાં જણાવ્યું કે ગુજરાતમાં વેપારીનો દીકરો વેપારી બનવા માગે છે, ડોકટરનો દીકરો ડોકટર બનવા માગે છે, રાજકારણીના દીકરા પણ રાજકારણમાં આવવા માગે છે પણ ખેડૂતનો દીકરો ખેડૂત રહેવા માગતો નથી. કારણ કે એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાના સ્વપ્નો બતાવ્યા હોય અને બીજી તરફ ખાતર મોંઘું બિયારણ, વીજળી મોંઘી, પાણી મોંઘું બધી જ રીતે જે ઉત્પાદનનો ખર્ચ મોંઘો થયો પણ તેના પ્રમાણમાં તેને જે બજારભાવ મળવો જોઇએ તે નહીં મળવાના કારણે આજે ખેડૂત આર્થિક રીતે પાયમાલ થયો છે, ખોટી માપણી રદ કરવાની લડત છે એનો અવાજ આજ સુધી સરકારના કાન સુધી પહોંચતો નથી. આજે કરોડો રૂપિયા ખર્ચ્યા પછી ખેડૂતોની જમીનની માપણી ખોટી થયેલ છે જે રીતે ચારેય તરફ નકલીનું રાજ ચાલે છે નકલી કચેરીઓ, નકલી જજ.
અમિત ચાવડાએ આક્ષેપ કર્યો કે સરકારનો કોઇ અંકુશ નહીં હોવાના કારણે ચારેય તરફ નકલી બિયારણ વેચાઇ રહ્યું છે, નકલી બિયારણ છે એને પકડવા માટે છેક મહારાષ્ટ્રની પોલીસ સાબરકાંઠા સુધી આવે પણ ગુજરાતની પોલીસ, ગુજરાતનું તંત્ર, ગુજરાતનો કૃષિ વિભાગ એ નકલી બિયારણને રોકી શકતો નથી, થાનમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગી 70 હજાર જેટલી બોરીઓમાં આગ લાગી જેમાં એક ભાજપના જવાબદાર આગેવાન કે જેઓ ઇફ્કો અને ગુજકોમાસોલ જેવી સંસ્થાઓનો વહીવટ કરે છે એમણે જાહેરમાં નિવેદન કર્યું કે કૌભાંડ થયા હોય અથવા કાંઇક છૂપાવવા જેવું હોય તો જ આગ લાગે છે બાકી એમને એમ આગ લાગતી નથી.
ભાજપના જ ધારાસભ્યની વાતને ટાંકીને અમિત ચાવડાએ ગૃહમાં જણાવ્યું કે કદાચ અમે કહેતા હોત તો કહેતા કે કોંગ્રેસ તો વિરોધ કરે છે પણ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ધારાસભ્ય માણાવદરના અરવિંદભાઇ લાડાણીએ જાહેરમાં કહ્યું કે આ ખરીદીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે. મોટા પ્રમાણમાં ખેડૂતોનું શોષણ થાય છે અને આની તપાસ થવી જોઇએ એવી માગણી કોઇ કોંગ્રેસના ધારાસભ્યએ નહીં પણ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ કરી છે. આ ઉપરાંત તેમણે વિરમગામમાં થયેલા ડાંગરની ખરીદીમાં કૌભાંડ અને તેમાં મોટા નેતાઓની સાંઠગાંઠના આક્ષેપ કર્યા હતા.
વધુમા, કોંગ્રેસ દ્વારા માગ કરવામાં આવી છે કે, કુદરતી આફતો મુદ્દે સમયસર પેકેજની સહાય મળે, પિયત અને બિન પિયતની સહાય વ્યવસ્થિત આયોજનપૂર્વકનું કામ થાય ગુજરાતમાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના કે જે બંધ કરવામાં આવી છે રાજ્ય સરકાર પોતાના બજેટમાંથી ફસલ વીમા યોજના લાગુ કરે એના માટે સરકાર પાસે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ માંગણી કરી હતી.
પશુપાલનના મુદ્દા પર અમિત ચાવડાએ જણાવ્યું કે, ગુજરાતમાં શ્વેત ક્રાંતિ અને અમૂલના નામે આખા વિશ્વમાં વાહવાહી મેળવવા જણાવ્યું કે આજે મોંઘો ઘાસચારો, માવજત, દાણ, દવાઓ મોંઘી થઇ એના કારણે પશુપાલકોને જે દૂધના ભાવ મળે છે એ પુરતા નથી. અન્ય રાજ્ય સરકારો પ્રતિ લિટર સબસિડી આપે છે ત્યારે મારી પણ સરકારને વિનંતી સાથે માગણી છે કે, ગુજરાતમાં ૩૦ લાખ કરતા વધારે પશુપાલકો છે એમને દૂધમાં પ્રતિ લિટરે ઓછામાં ઓછી રૂ. 5 સબસિડી આપવામાં આવે એવી માગણી કરીએ છીએ. અગાઉ કરેલ રજૂઆતને ટાંકીને અમિત ચાવડાએ જણાવ્યું કે, માહિતી અને પ્રસારણ વિભાગ વિપક્ષના ધારાસભ્યઓ જે અસરકારક રજૂઆત કરે એ આગળ રીતે રજૂ નથી કરતા, મીડિયામાં કે અન્ય માધ્યમોમાં એને યોગ્ય રીતે મૂકવામાં નતી આવતી, ક્યાંક ને ક્યાંક ભેદભાવ અને અન્યાય થતો જોવા મળે છે.
રાજ્યમાં ચર્ચાનો વિષય બનેલ અને રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવેલ ભેદભાવ મુદ્દે અમિત ચાવડાએ જણાવ્યું કે, ‘ચલચિત્રોના કલાકારો હોય, અન્ય કલાકારો હોય એમને પારિતોષિક આપવામાં તો ભેદભાવના અનેક વખત આક્ષેપો થયા તો સન્માન કરવામાં કે બોલાવવામાં પણ ભેદભાવ થાય અને એના માટે કોઇ કલાકારોએ જાહેરમાં પ્રેસ કોન્ફરન્સો કરવી પડે છે. કોઇ કલાકારોએ જાહેરમાં મંચ પરથી ભાષણો કરવા પડે, ચોક્કસ સમાજના લોકોને, ચોક્કસ વર્ગના લોકોને, ચોક્કસ વિસ્તારના કલાકારોને ભેદભાવનો ભોગ બનવું પડે છે. એમને બોલાવવામાં આવતા નથી. માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા જે ભેદભાવ અને અન્યાય થઇ રહ્યો છે. કેટલાક મીડિયાઓ સાથે પણ ભેદભાવ અને અન્યાય થઇ રહ્યો છે. કદાચ સરકાર વિરોધની ચાર લીટીઓ લખે તો જાહેરાત બંધ થઇ જાય. કદાચ સરકાર વિરોધના સમાચાર બતાવે તો જાહેરાત બંધ થઇ જાય. આવો જે ભેદભાવ અને અન્યાય ચાલે છે એના કારણે કેટલાય જે પત્રકારો છે અને કેટલાય જે સમાચાર પત્રો છે, કેટલીય મીડિયાની ચેનલો કે યુ-ટ્યુબર્સ છે એ પણ પ્રજાનો સાચો અવાજ રજૂ કરતા ડરી રહ્યાં છે. જો માહિતી અને પ્રસારણ વિભાગ યોગ્ય રીતે કામ કરે તો હું માનું છું કે આ લોકશાહીનો સાચો અવાજ એ ચોથો આધારસ્તંભ છે એ પહોંચાડી શકે.’
અમિત ચાવડાએ સરકારને સૂચન કર્યું કે સહકારી ક્ષેત્રે ભરતીઓ થાય છે એમાં ભ્રષ્ટાચાર વ્યાપકની ફરિયાદો મળે જેથી ગૌણ સેવા પસંદગી મંડળ છે તે રીતે સહકારી સંસ્થાઓમાં ભરતી માટેનું કોઈ આયોગ બનાવવામાં આવે.
આ પણ વાંચો:અમદાવાદના અમરાઈવાડીમાં અપશબ્દો બોલવાનું ન કહેતા અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
આ પણ વાંચો:અમદાવાદનાં સુભાષબ્રિજમાં અસામાજિક તત્વોનો આતંક, હોટેલ માલિક ગંભીર ઘાયલ
આ પણ વાંચો:ગુજરાતમાં વધતા ગુનાઓ માટે જવાબદાર કોણ? કાયદો-વ્યવસ્થા જાળવવા સરકાર એક્શનમાં