અમદાવાદમાં પદ્માવતના ભારે વિરોધ પછી કરણીસેનાના ચીફ લોકેન્દ્રસિંહ કલવીએ પત્રકાર પરિષદ યોજી હતી. લોકેન્દ્રસિંહે કહ્યું હતું કે, પદ્માવત ફિલ્મ રાજપૂત રાણીનું સન્માન ઘવાય તેવી ફિલ્મ છે અને આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવો જ જોઈએ.
લોકેન્દ્રસિંહે કહ્યું કે, આ ફિલ્મ પર પ્રતિબંધ મુકવા માટે અમે અમારી માંગ પર અડગ છીએ. આ ફિલ્મની રિલીઝને અટકાવવા અમે કઈ પણ હદ સુધી જવા તૈયાર છીએ.
લોકેન્દ્રસિંહે અમદવાદમાં થયેલી હિંસાને અમે વખોડતા જણાવ્યું કે, કરણીસેના હિંસામાં માનતી નથી. અત્યાર સુધી પદ્માવત મુવીના લીધે જે વિવાદો અને નુકશાન થયું છે. તેના માટે માત્ર સંજય લીલા ભણસાલી જવાબદાર છે.
લોકેન્દ્રસિંહે કહ્યું કે, અમે લોકોને અપીલ કરવાના છીએ કે તેઓ સ્વંયભુ કરફ્યુ રાખે અને ફિલ્મનો વિરોધ કરે.
કરણીસેનાના ચીફે ઉમેર્યું હતું કે, અમારી માતા સમાન રાણી પદ્માવતીએ તેમની ૧૬ હજાર દાસી સાથે જોહર કર્યું હતું. શું ૮૦૦ વર્ષ પછી તેમના બલિદાનને પ્રેમાલાપમાં બતાવે એ યોગ્ય છે?
ક્લવીએ કહ્યું હતું કે, આ મારી અંતિમ પત્રકાર પરિષદ હોય શકે. કદાચ કાલે મારી ધરપકડ પણ કરી લે અને મારી પર તેનાથી વધુ પણ થઇ શકે છે પરંતુ અમે અમારા નિર્ણય પર અડગ છીએ.
મહત્વનું છે કે, લોકેન્દ્રસિંહ કલવીએ ગાંધી બાપુની જન્મભૂમી પોરબંદરની મુલાકાત લીધી હતી. તેમણે કહ્યું કે, ગાંધીજીના આશ્રમમાં હું લાડવા ખાવા નહતો ગયો પણ બાપુને મે એક જ પ્રાર્થના કરી કે તમે જેમ અંગ્રેજોને હટાવ્યા હતા તેમ અમે પદ્માવાત ફિલ્મને હટાવી દઈશું.