Rajkot News: રાજકોટ ખાતે યોજાયેલા કોળી સમાજ (Koli Samaj)ના ભવ્ય સમૂહ લગ્નોત્સવનો પ્રસંગ માત્ર સામાજિક એકતાનું મંચ જ નહીં, પરંતુ સમાજની રાજકીય દિશા અને નેતાઓ વચ્ચેના વૈચારિક મતભેદોનું કેન્દ્ર પણ બન્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભાવનગરના બગદાણા ખાતે આગામી 1લી ફેબ્રુઆરીએ યોજાનાર કોળી સંમેલન મુદ્દે સમાજના અગ્રણી નેતાઓ વચ્ચે અલગ-અલગ અભિપ્રાય સામે આવ્યા હતા.
બગદાણામાં કોળી સમાજના યુવાન પર થયેલા અત્યાચારના વિરોધમાં આ સંમેલન યોજવાની જાહેરાત કરવામાં આવી છે. જોકે, આ સંમેલન અંગે સમાજના ટોચના નેતાઓ જ અજાણ હોવાનું સામે આવ્યું છે. પ્રસંગે ઉપસ્થિત રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ બગદાણા સંમેલન અંગે સ્પષ્ટ શબ્દોમાં અજાણતા વ્યક્ત કરી હતી.
Koli Samaj Sammelan: બગદાણા પ્રકરણમાં સરકાર ગંભીર, SIT તપાસ ચાલુ: કુંવરજીભાઈ બાવળિયા
કુંવરજીભાઈ બાવળિયા (Kunvarjibhai Bavaliya)એ જણાવ્યું હતું કે, બગદાણા પ્રકરણમાં રાજ્ય સરકાર અત્યંત ગંભીર છે. મુખ્યમંત્રી તથા નાયબ મુખ્યમંત્રીના આદેશથી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરવામાં આવી છે અને હાલ તપાસ પ્રક્રિયા ચાલુ છે. તપાસમાં જે પણ દોષિત સાબિત થશે તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી પણ તેમણે આપી હતી.

સંમેલન અંગે તેમણે પ્રશ્ન ઉઠાવતા જણાવ્યું હતું કે, 1લી ફેબ્રુઆરીના રોજ યોજાનાર સંમેલન વિશે તેમને કોઈ જાણ કરવામાં આવી નથી. કોઈ એક-બે વ્યક્તિઓ વ્યક્તિગત રીતે જાહેરાત કરે તો આખો સમાજ તેમાં જોડાય એ જરૂરી નથી. સંમેલન પાછળનો એજન્ડા અને માંગણીઓ સ્પષ્ટ થાય ત્યારબાદ જ સમાજ તરફથી ટેકો આપવામાં આવે છે. હાલ સરકારે આપેલા ભરોસાને ધ્યાનમાં રાખીને તપાસ પૂર્ણ થવાની રાહ જોવી જોઈએ.
સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજીભાઈ ફતેપરા (Devjibhai Fatepara )એ પણ બાવળિયાના સૂર પુરાવતા જણાવ્યું હતું કે, સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પ્રદેશના આગેવાનો હોવા છતાં તેમને પણ આ સંમેલન અંગે કોઈ પ્રકારની જાણ કે આમંત્રણ મળ્યું નથી.

બીજી તરફ, સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા (Vimal Chudasama)એ આ મુદ્દે આક્રમક અભિગમ દાખવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, SITની તપાસ ચાલુ હોવા છતાં સમાજને પોતાના હક અને અધિકાર માટે એકઠા થવાનો અને અવાજ ઉઠાવવાનો પૂરતો અધિકાર છે. જો બગદાણા સંમેલનના આયોજકો તેમને આમંત્રણ આપશે તો તેઓ ચોક્કસ ઉપસ્થિત રહેશે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેઓ હંમેશા કોળી સમાજની સાથે છે.
આ રીતે બગદાણા સંમેલનને લઈને કોળી સમાજ (Koli Samaj)માં એક તરફ સરકાર પર વિશ્વાસ રાખવાની વાત થઈ રહી છે, જ્યારે બીજી તરફ સમાજના હકો માટે સંઘર્ષ જરૂરી હોવાનું માનનાર નેતાઓ પણ ખુલ્લેઆમ સામે આવ્યા છે. આવનારા દિવસોમાં આ સંમેલન સમાજની એકતા અને રાજકીય દિશા પર શું અસર કરશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો:બગદાણા વિવાદ: 1 ફેબ્રુઆરીએ કોળી સમાજનું મહાસંમેલન
આ પણ વાંચો:બગદાણા કોળી સમાજ યુવાન પર હુમલાના કેસમાં SIT તપાસમાં વધુ એક આરોપીની ધરપકડ
આ પણ વાંચો:કાલે તળાજામાં કોળી સમાજનું મહાસંમેલન, રાજકારણ ગરમાશે
