Surendranagar Rain News: સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં વરસાદી પાણીના તેજ પ્રવાહ વચ્ચે એક કાર તણાઈ (Car Swept Away In Rain Water) જવાની ઘટના સામે આવી છે. ભલગામડા અને મોટા ટીંબલા ગામ વચ્ચે બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.સદનસીબે સ્થાનિક લોકોની સમયસરની મદદ અને સતર્કતાના કારણે કારમાં સવાર તમામ લોકોનો આબાદ બચાવ થયો હતો. ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
વરસાદી પ્રવાહમાં ફસાઈ કાર
મળતી માહિતી મુજબ, ભલગામડા–મોટા ટીંબલા વચ્ચે વરસાદના કારણે રસ્તા પ
ર પાણીનો ભારે પ્રવાહ વહેતો હતો. આ દરમિયાન એક કાર પાણીમાંથી પસાર થવાનો પ્રયાસ કરતી વખતે પ્રવાહમાં ફસાઈ ગઈ હતી. વરસાદી પાણીનું જોર વધારે હોવાથી કાર થોડા સમય માટે આગળ વધી શકી નહોતી અને પાણીના પ્રવાહમાં તણાવા લાગી હતી. આ દ્રશ્ય જોઈ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા.

Car Swept Away In Rain Water: સ્થાનિકોએ મહેનત કરી કાર બહાર કાઢી
સ્થાનિક લોકોની એકજૂટ મહેનતથી કારને વરસાદી પાણીમાંથી બહાર કાઢવામાં આવી હતી. સમયસર મદદ મળી જતા કારમાં સવાર લોકો સુરક્ષિત બહાર આવી ગયા હતા.સ્થાનિકોના જણાવ્યા મુજબ, જો થોડી પણ વધુ વાર થઈ હોત તો સ્થિતિ ગંભીર બની શકે તેવી શક્યતા હતી.

બે દિવસ જૂનો વીડિયો થયો વાયરલ
આ સમગ્ર ઘટનાનો વીડિયો બે દિવસ બાદ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં વરસાદી પાણીના જોરદાર પ્રવાહ વચ્ચે કાર ફસાયેલી જોવા મળી રહી છે.વીડિયો સામે આવ્યા બાદ વરસાદી સિઝનમાં સાવચેતી રાખવાની જરૂરિયાત અંગે ફરી ચર્ચા શરૂ થઈ છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં 493.8 મીમી સરેરાશ વરસાદ
સુરેન્દ્રનગર જિલ્લામાં આ વર્ષે સારો વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી જિલ્લામાં સરેરાશ 493.8 મીમી વરસાદ નોંધાયો છે.તાલુકાવાર વરસાદની સ્થિતિ નીચે મુજબ:
ધ્રાંગધ્રા: 440 મીમી
દસાડા: 523 મીમી
લખતર: 602 મીમી
વઢવાણ: 502 મીમી
મુળી: 427 મીમી
ચોટીલા: 474 મીમી
સાયલા: 513 મીમી
ચુડા: 508 મીમી
લીંબડી: 433 મીમી
થાનગઢ: 516 મીમી
વરસાદને કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે અને નદી-નાળાઓમાં પાણીનો પ્રવાહ વધ્યો છે.
વહી રહેલા પાણીમાંથી વાહન ન પસાર કરવા અપીલ
આ ઘટના ફરી એકવાર વરસાદી સિઝનમાં સાવચેતી રાખવાની જરૂરિયાત દર્શાવે છે. બહારથી પાણીનો પ્રવાહ સામાન્ય દેખાતો હોવા છતાં તેની ઊંડાઈ અને વેગનો અંદાજ લગાવવો મુશ્કેલ હોય છે. તંત્ર અને સ્થાનિકો દ્વારા લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે કોઈપણ જોખમ ન લેવું અને વહી રહેલા પાણીમાંથી વાહન પસાર કરવાનો પ્રયાસ ન કરવો.
આ પણ વાંચો:સુરેન્દ્રનગરના લખતરમાં 8 ઇંચ વરસાદથી જળબંબાકાર, ઉમઇ નદીનો પાળો તૂટતા લીલાપુર ગામમાં પાણી ઘૂસ્યા
