રામનવમી પર હિંસા થઇ હતી તેના સંદર્ભમાં AIMIMના વડા અસદુદ્દીન ઔવેસી આજે એક દિવસની અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આજે સાંજે તેઓ ખાનપુર પત્રકાર પરિષદ બાદ જુહાપુરા વિસ્તારમાં આવેલા છીપા ટેનામેન્ટ ખાતે એક પાર્ટીના નેતાના ત્યાં ગયા હતા . જ્યાં ઔવેસીનો સ્થાનિક મહિલાઓએ વિરોધ કર્યો હતો. કાળા વાવટા ફરકાવી અને ‘અસદુદ્દીન ઔવેસી તુમ વાપસ જાઓ, વાપસ જાઓ’ના બેનરો સાથે વિરોધ કરાયો હતો. વિરોધ કરનાર મહિલા અને લોકો સાથે AIMIMના કાર્યકર્તાઓનું ઘર્ષણ પણ થયું હતું. ઔવેસી જ્યારે બહાર નીકળતા હતા ત્યારે ગાડી સુધી ન પહોંચે તેના માટે કાર્યકર્તાઓએ વિરોધ કરનારા લોકોને ત્યાંથી દૂર કર્યા હતા. અચાનક જ ઔવેસીનો વિરોધ કરવા લોકો આવતા AIMIMના કાર્યકર્તાઓ પણ દોડતા થઈ ગયા હતા.
રાજ્યમાં રામનવમી પર થયેલા હિંસા મુદ્દે ઔવેસીએ કહ્યું, ક્યાંય પણ હિંસા કોઈ માટે સારી નથી. રાજય સરકાર જવાબદાર હોય છે. રાજય સરકાર જો ઈચ્છે તો હિંસા થાય અને ના ઈચ્છે તો ન થાય. હિંસા થઈ એ માટે સરકાર જવાબદાર છે. જે લોકો જવાબદાર છે તેમની સામે કાર્યવાહી થાય. IBના ઇનપુટ હતા તો સરકારે કેમ પગલાં ન લીધા?