સમગ્ર દેશમાં હાલમાં લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે ત્યારે બીજી તરફ આગામી ત્રણ તબક્કા માટેનો ચૂંટણીપ્રચાર પણ ચાલી રહ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોમવારે ઝારખંડના કોડરમામાં ચૂંટણીસંભા સંબોધિત કરી હતી. ચૂંટણીસભા દરમિયાન મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કરતા વિપક્ષ હચમચી ગયા હોવાનું કહ્યું હતું.
આ દરમિયાન તેમણે લોકોને અપીલ કરીને વિપક્ષથી વાતોથી ના ભરમાવા કહ્યું છે. વિપક્ષ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે વિપક્ષ કહે છે કે મોદી જીતે છે તેથી વોટિંગ કરવાની જરૂર નથી પરંતુ હું આપને આ લોકોની વાતોથી દૂર રહેવાનું કહું છું અને જો મોદી જીતે છે તો મહત્તમ મતદાન કરીને જીત અપાવજો.
અમે જીતી રહ્યા છીએ પણ દરેક જગ્યાએ કમળ ખીલવું જોઇએ તેથી વોટ જરૂર કરો. અમારી સરકારે ભ્રષ્ટાચારીઓ પર સંકજો કસ્યો તો આ લોકો ચોકીદારને ચોર કહે છે. તેમણે વિપક્ષની મિલીભગત પર પણ નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે તેઓનો ઉદ્દશે મિશ્ર સરકાર બનાવવાનો છે જેથી કૌંભાડ કરી શકે.
દેશના વિકાસ માટે મજબૂત સરકાર આવશ્યક છે, પરંતુ વિપક્ષ મિશ્ર સરકાર બનાવીને દેશની અધોગતિ ઇચ્છે છે. અમે ઝારખંડમાં વિકાસ કર્યો છે. હવે કોડરમા-હજારીબાગ-બરકાન-સિદ્વવાર સેક્શન તૈયાર થઇ ચૂક્યા છે અને દોઢ વર્ષમાં રાંચી સુધી સંપૂર્ણ લાઇન પણ તૈયાર થઇ જશે.
કર્ણાટકના મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીના નિવેદન પર નિશાન સાધતા વિપક્ષ સેનાનું અપમાન કરે છે તેવું કહ્યું હતું. કોંગ્રેસના જ લોકો સેનાને ગુંડા કહે છે. તેથી આપણે સતર્ક રહેવું અનિવાર્ય છે. કોંગ્રેસ અને તેના સાથીદારોનું વલણ ભાગલા પાડો જેવું છે. આજે સીમાપાર આતંકીઓનો પણ ખાત્મો બોલાવામાં આવ્યો છે અને જ્યાં પણ ખતરો હશે ત્યાં અમે ઘૂસીને મારીશું.