સોનગઢ,
લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે ગુજરાત આવેલા પીએમ નરેન્દ્ર મોદીએ સોનગઢના ગુણસદામાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, ગાંધી અને સરદારના રસ્તેથી કોંગ્રેસ ભટકી ગઈ છે.નહેરૂના કારણે કાશ્મીરનો મુદ્દો ઉકેલાયો નથી અને સરદાર પટેલનો માર્ગ કોંગ્રેસે છોડી દીધો છે.
પીએમ મોદીએ કહ્યું કે સરદારથી કોંગ્રેસને વાંધો હતો, તેમ કોંગ્રેસને મારી સામે પણ વાંધો પડ્યો છે.સરદારની નીતિઓની વિરુધ્ધ કોંગ્રેસ કામ કરી રહી છે જેનું પરિણામ જમ્મુ કાશ્મીર છે. સરદારનો રસ્તો પકડી રાખ્યો હોત તો દેશ આજે ક્યાં પહોંચી ગયો હોત.સરદારને મંજૂર નહોતી તેવી વાતો હજુ કોંગ્રેસ કરી રહી છે. કાશ્મીરનો મુદ્દો સરદાર પાસેથી નહેરૂએ લઈને શું કર્યુ તે બધા જાણે છે.આજે આતંકવાદ પણ એના જ કારણે આટલો ચાલ્યો છે.
પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું છે કે અમે રાષ્ટ્ર દ્રોહનો કાયદો કાઢી નાંખીશું. જો આજે સરદાર સાહેબ જીવતા હોત તો કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને કદી સ્વીકાર ના કરત.
પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસ પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો કાશ્મીરમાંથી સુરક્ષાબળોને હટાવવાની વાત કરે છે, કોંગ્રેસ પાકિસ્તાનને જે જોઈએ તે પુરૂ કરવાનો પ્રયાસ કરી રહી છે.