પ્રેમ જીવવાની તાકાત આપે છે કે મૃત્યુ તરફ દોરી જાય છે તે સમજણનો વિષય છે. આજનાં નવયુવાનો પ્રેમમાં એટલા ઘેલા બની ગયા છે જેનું તેમને પોતાને પણ ભાન નથી. પ્રેમની તાકાત ન સમજીને અનેક પાગલ પ્રેમીઓ આત્મહત્યા જેવુ નિષ્ઠુર પગલુ ભરે છે. ત્યારે આવો જ એક કમકમાટી ભર્યો પ્રેમની નિષ્ફળતાનો કિસ્સો સામે આવ્યો છે.
આપને જણાવી દઇએ કે, અંજારમાં પ્રેમમાં પાગલ બનેલા નવ યુવાનીયાઓએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનો શોકમાં ગરકાવ થઈ ગયા છે. પોલીસ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે, ગાંધીધામ તાલુકાનાં ગળપાદર ગામની 14 વર્ષીય સગીરા રાધિબેન બાબુભાઇ આહીર અને 20 વર્ષીય ભાવેશ દેવજીભાઈ સોલંકી નામનાં યુવક યુવતીએ વરસામેડી ગામની સીમમાં ઝાડ પર લટકીને સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. મૃતક છોકરી આજે વહેલી સવારે જ ઘરે છોડી દીધા હોવાનુ સુત્રોએ જણાવ્યુ છે. બાદમાં જાણવા મળ્યુ કે, કચ્છનાં અંજાર તાલુકાનાં વરસામડી ગામની સીમમાં આ બંન્ને પ્રેમી પંખીડાઓ ઝાડ પર લટકી ગયા હતા.
હાલ પોલીસે સમગ્ર બનાવ મામલે ઝીણવટભરી તપાસ સાથે આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. સ્થાનિકે ચર્ચાતી વાતો મુજબ, બંને એકબીજાને પ્રેમ કરતા હોઇ પરંતુ સમાજ સ્વીકાર નહિ કરે તેવા ડરથી આત્મઘાતી પગલું ભર્યું હોવાની વાત વહેતી થવા પામી છે.