ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી લમ્પી રોગનો કહેર જોવા મળી રહ્યો છે, અનેક જિલ્લામાં આ રોગમો પગપેસારો થયો છે જેના લીધે અનેક પશુઓના મોત થયા છે. જામનગર જિલ્લામાં એક વિચિત્ર રોગના કારણે ગાયના ટપોટપ મોત થઇ રહ્યા છે. તપાસ કરતા જાણવા મળ્યું કે આ રોગનું નામ લમ્પી સ્કિન ડિસિઝ છે. આ એક પ્રકારનો ચેપી રોગ છે જે માત્ર ગાયમાં જ જોવા મળે છે. આ રોગ કેપ્રીપોક્ષ નામના વાઇરસથી થાય છે. જે વાઇરસ માખી, મચ્છર તેમજ પશુઓના શરીર પર જોવા મળતા જુ તથા ઇતરડીથી ફેલાય છે. વધુમાં આ રોગ પશુઓના સીધા સંપર્કથી પણ ફેલાય છે.
લક્ષણો
આ રોગ ચામડીનો રોગ છે જે પશુમાં જાેવા મળે છે. લમ્પી વાયરસ અંગે પશુ ચિકિત્સકોએ જણાવ્યું કે આ રોગના વાઈરસ પશુના શરીરમાં દાખલ થયાના એક અઠવાડિયાની અંદર આ રોગના ચિન્હો જોવા મળે છે જેમ કે, પશુને તાવ આવે છે, પશુ ખાવાનું ઓછું કરે છે અથવા તો સંપૂર્ણ બંધ કરી દે છે, ચામડી પર ફોડલા જેવા ગઠ્ઠા થાય છે, પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતા પર માઠી અસર થાય છે, રોગીષ્ટ પશુઓ પોતાના શરીરની રોગપ્રતિકારક શક્તિ ને લીધે આપોઆપ 2 થી 3 અઠવાડિયામાં સાજુ થઇ જાય છે, રોગચાળો ફેલાવવાનો દર માત્ર 10થી 20 ટકા છે. જ્યારે મૃત્યુ દર ખુબજ ઓછો 1 થી 2 ટકા છે, ખાસ નોંધનીય બાબત એ છે કે આ રોગ પશુઓમાંથી મનુષ્યમાં ફેલાતો નથી.
તકેદારીના પગલા
રોગચાળાને કાબુમાં લેવા માટે બીમાર પશુઓને બીજા તંદુરસ્ત પશુઓથી તાત્કાલિક અલગ કરવા. પશુઓની રહેઠાણની જગ્યા સ્વચ્છ રાખવી જેથી માખી અને મચ્છરનો ઉપદ્રવ અટકાવી શકાય. આ રોગ તંદુરસ્ત પશુઓમાં ન આવે એટલા માટે તંદુરસ્ત પશુઓમાં રસીકરણ કરવું. ઉલ્લેખનીય છે કે જામનગર શહેરમાં સૌ પ્રથમ આ રોગ ગાંધીનગર, રામેશ્વર નગર અને નવાગામ ઘેડ વિસ્તારમાં જોવા મળ્યા હતા, અસરગ્રસ્ત વિસ્તારમાં પશુપાલકોના ઘરે ઘરે જઈને તંદુરસ્ત પશુઓને આ રોગ વિરોધી રસીકરણ કામગીરી હાથ ધરવામાં આવી છે જામનગર જિલ્લામાં ચાર તાલુકામાં કુલ 343 કેસ નોંધાયેલ છે અને 6388 પશુઓને રસીકરણ થયેલ છે.
ઉલ્લેંખનીય છે કે પશુમાં લમ્પી વાઈરસના લક્ષણો જણાય તો 1962 હેલ્પલાઈન અથવા મુખ્ય પશુ દવાખાનાનો તાત્કાલિક સંપર્ક કરવા તંત્ર દ્વારા અનુરોધ પણ કરવામાં આવ્યો છે.