યુપીની રામપુર કોર્ટે પૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદાને ચૂંટણી આચાર સંહિતા ભંગના કેસમાં શરતી જામીન આપ્યા હતા. રામપુરની કોર્ટમાં ફરજીયાતપણે હાજર રહેવાનો આદેશ અપાયા બાદ અભિનેત્રી કોર્ટમાં હાજર રહેવા ઉપરાંત કેસ સંબંધિત પૂછવામાં આવેલ પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા. જયા પ્રદા તેમના વકીલો સાથે અહીં પહોંચી હતી અને સોમવારે એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટ મેજિસ્ટ્રેટ શોભિત બંસલની કોર્ટમાં હાજર થઈ હતી. જણાવી દઈએ કે ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી જયા પ્રદા, ચૂંટણી સંહિતા ભંગ સંબંધિત બે કેસોના સંબંધમાં “ભાગેડુ” જાહેર કરવામાં આવી હતી. અભિનેત્રી જયા પ્રદા વિરુદ્ધ આચારસંહિતા ભંગના બે કેસ યુપીના રામપુર સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પેન્ડિંગ છે. તે સંદર્ભે સોમવારે આ કેસોમાં હાજર થઈ હતી.
જયાપ્રદા 2004 અને 2009માં સમાજવાદી પાર્ટીની ટિકિટ પર રામપુર સંસદીય બેઠક પરથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ 2019ની ચૂંટણીમાં તેમણે ભાજપના પ્રતીક પર ચૂંટણી લડી હતી, જ્યાં તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. 2019ની લોકસભા ચૂંટણીમાં જ જયાપ્રદા વિરુદ્ધ આચારસંહિતા ભંગના બે કેસ નોંધાયા હતા. જે રામપુરના સાંસદ-ધારાસભ્ય કોર્ટમાં પેન્ડિંગ છે. જ્યારે વારંવાર ફોન કરવા છતાં પણ જયાપ્રદા કોર્ટમાં ન પહોંચી ત્યારે બિનજામીનપાત્ર વોરંટ જારી કરવામાં આવ્યું હતું. જ્યારે તે 7 વોરંટ પછી પણ કોર્ટમાં હાજર ના થઈ ત્યારે કોર્ટે તેને ફરાર જાહેર કર્યો હતો. જે બાદ જયાપ્રદા સોમવારે કોર્ટમાં હાજર થઈ અને વોરંટ પરત લેવા માટે અરજી કરી, જેને કોર્ટે સ્વીકારી લીધી.
કોર્ટમાંથી બહાર નીકળ્યા બાદ જયાપ્રદાએ મીડિયા સાથે વાત કરતા શરતી જામીન આપવા મામલે કોર્ટનો આભાર માન્યો હતો. તેમણે વધુમાં કહ્યું, હું વધુ ટિપ્પણી કરીશ નહીં. તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે. બે વખત રામપુરથી સાંસદ બનવાનો દરજ્જો આપવા બદલ તમામનો આભાર માનું છું. હું રામપુરના લોકોના દિલમાં છું. જનતા મારી સાથે છે. વધુમાં જયાપ્રદાએ મીડિયાને જણાવ્યું કે મેં હંમેશા કોર્ટનું સન્માન કર્યું છે. પરંતુ મારી તબિયત ઠીક નથી, બીપી અને શુગર લેવલ ઉંચુ હતું. સાથે કમરમાં પણ દુખાવો રહેતો હતો. કિડનીમાં ઇન્ફેક્શન જેવી સમસ્યાનો સામનો કરતી હોવાથી અગાઉની સુનાવણીમાં કોર્ટમાં આવી શકી ન હતી. હું હંમેશા લોકોની સાથે છું અને લોકો સાથે જ રહીશ. હું ભવિષ્યમાં પણ તમારી વચ્ચે આવતી રહીશ.
કોર્ટના 27 ફેબ્રુઆરીએ પોલીસને તેની ધરપકડ કરવા માટેના આદેશ પછી, જયા પ્રદાએ અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને તેની સામે જારી કરાયેલા બિનજામીનપાત્ર વોરંટને રદ્દ કરવા માંગ કરી હતી. જોકે કોર્ટે તેની અરજી ફગાવી દીધી હતી.
આ પણ વાંચો :પ્રહાર/‘મોદી પરિવાર’ પર ગરમાયું રાજકારણ, રાહુલ ગાંધીએ શેર કર્યો ફોટો,આ છે ‘અસલ ફેમિલી’
આ પણ વાંચો :રાજીનામું/ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું…
આ પણ વાંચો :સમન્સ/TMCના દિગ્ગજ નેતા મહુઆ મોઇત્રાને ફરી એકવાર EDએ મોકલ્યું સમન્સ