પંચમહાલ લોકસભા બેઠકમાં ખેડા જિલ્લાનાં કેટલાક વિસ્તારોનો સમાવેશ થાય છે. પહેલાં આ બેઠક ગોધરા બેઠક તરીકે ઓળખાતી હતી. 2009માં નવા સીમાંકન બાદ આ બેઠક પંચમહાલ બેઠક તરીકે ઓળખાઈ. આ બેઠક પરથી એક સમયે પારસી સમાજમાંથી આવતા પીલુ મોદી ચૂંટાયા હતા. સ્વતંત્ર પાર્ટીનાં પીલુ મોદીએ ગોધરા બેઠક પસંદ કરી હતી. પંચ મહાલ લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા સીટોમાં શહેરા, ગોધરા, કાલોલ, ઠાસરા, બાલાસિનોર, લુણાવાડા અને મોરવાહડફનો સમાવેશ થાય છે. આ બેઠક પર મતદારોની કુલ સંખ્યા 15,76,667 છે. આ બેઠક પર પુરુષ મતદાતાઓની સંખ્યા 8,20,230 અને મહિલા મતદાતાઓની સંખ્યા 7,56,437 છે. આ વખતે અહી મતદાન 9,33,461 (59.2%) થયુ હતુ. મધ્ય ગુજરાતની બીજી બેઠકોની જેમ આ બેઠક પર પણ ક્ષત્રિય મતદારોનું પ્રભુત્વ છે પણ બીજી જ્ઞાતિઓનાં મતો પણ નિર્ણાયક છે. પંચમહાલ બેઠકનાં કુલ મતદારોમાંથી 50 ટકા મતદારો ક્ષત્રિય છે. આ સિવાય આ બેઠક પર મુસ્લિમ મતદારો પણ નોંધપાત્ર છે. કુલ મતદારોમાંથી 10 ટકા જેટલા મતદારો મુસ્લિમ છે. ગોધરા, લુણાવાડા સહિતનાં શહેરોમાં મુસ્લિમોની વસતી નોંધપાત્ર છે અને આ મતબેંક કોંગ્રેસની છે. લગભગ 10 ટકા જેટલા મતદારો માલધારી-ભરવાડ સમાજનાં છે.
પંચ મહાલનો રાજકીય ઈતિહાસ
1967માં ગોધરા બેઠક અસ્તિત્વમાં આવી પછી તેના પહેલા સાંસદ તરીકે પીલુ મોદી ચૂંટાયા હતા. 1971માં મોદી ફરી ગોધરા બેઠક પરથી જીત્યા હતા. 1977માં ગુજરાતનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈએ તેમને હરાવ્યા જેના કારણે મોદી હેટ્રિક નહોતા કરી શક્યા. 1980માં દેવગઢ બારીયાનાં મહારાજા જયદીપસિંહજી કોંગ્રેસની ટીકીટ પર ઉભા રહ્યા ને તેમણે ફરી પીલુ મોદીને હરાવ્યા. ગુજરાતમાં 1989ની લોકસભા ચૂંટણીથી કોંગ્રેસનાં વળતાં પાણી શરૂ થયાં.એ ચૂંટણીમાં કોંગ્રેસને માત્ર 3 બેઠકો મળી હતી અને તેમાંથી એક બેઠક ગોધરા હતી. કોંગ્રેસનાં શાંતિલાલ પટેલ એ વખતે જીત્યા હતા. 1991માં શંકરસિંહ વાઘેલાએ શાંતિલાલ પટેલને હરાવીને આ બેઠક જીતી હતી. જો કે 1995માં થયેલા ખજૂરીયા કાંડના કારણે ભાજપે જ શંકરસિંહ સામે કામ કરતાં શંકરસિંહ 1996માં કોંગ્રેસનાં શાંતિલાલ પટેલ સામે હારી ગયેલા. ગોધરાની શંકરસિંહની એ હાર ગુજરાતના રાજકારણમાં ફ્લેશપોઈન્ટ બની. શંકરસિંહે બળવો કરીને ભાજપમાં ભાગલા પડાવ્યા અને પોતે મુખ્યમંત્રી બન્યા હતા. 1998માં પણ શાંતિલાલ પટેલ ફરી જીત્યા હતા. 1999 અને 2004માં ભાજપનાં ભૂપેન્દ્રસિંહ જીત્યા હતા. 2009ની ચૂંટણીમાં કપડવંજ બેઠક નાબૂદ થતાં શંકરસિંહ વાઘેલા ગોધરામાંથી લડેલા પણ પ્રભાતસિંહ સામે હારી ગયેલા. 1996માં ભાજપે તેમને હરાવેલા તો 2009માં કોંગ્રેસના નેતાઓએ તેમને હરાવ્યા. એલજેપી પાર્ટીની ટિકિટ પર ઉભા રહેલા કલીમ શેખ નામનાં ઉમેદવાર 23 હજાર કરતાં વધારે મત લઈ ગયા હતા. તેના કારણે કોંગ્રેસની પરંપરાગત મતબેંકમાં ગાબડું પડ્યું અને શંકરસિંહ માત્ર 2081 મતે હારી ગયા હતા. 2014માં પણ પ્રભાતસિંહ ફરી જીત્યા હતા અને કોંગ્રેસના ધુરંધર સહકારી આગેવાન રામસિંહ પરમારને હરાવ્યા હતા. ગોધરા-પંચમહાલ બેઠક પર એ રીતે કોઈ એક પક્ષનું વર્ચસ્વ રહ્યું નથી. છેલ્લી ચાર ટર્મથી આ બેઠક પર ભાજપ જીતે છે પણ તેમાં બીજા પરિબળોનો ફાળો વિશેષ છે. 2009માં કોંગ્રેસની જૂથબંધીનાં કારણે આ બેઠક ભાજપને મળી હતી જ્યારે 2014માં મોદી લહેરનાં કારણે ભાજપે જીત મેળવી હતી.
પંચમહાલ લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ