ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગરની લોકસભા બેઠક પર સૌ કોઇની નજર છે. ભાજપ માટે ગાંધીનગરની બેઠક સૌથી સલામત ગણાય છે. ગાંધીનગરથી વર્ષ 1996માં વાજપાઇ લડ્યા હતા અને જીત મેળવી હતી. બાદમાં તેમણે ગાંધીનગર બેઠક છોડી લખનઉ બેઠક સંભાળી હતી. ગાંધીનગર લોકસભામાં સમાવિષ્ટ 7- વિધાનસભા સીટોમાં ગાંધીનગર ઉત્તર, કલોલ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, નારણપુરા અને સાબરમતીનો સમાવેશ થાય છે. ગાંધીનગર લોકસભા બેઠકનાં કુલ મતદારો 12,14,155 છે. જ્યા પુરુષ મતદારોની સંખ્યા 6,24,202, મહિલા મતદારોની સંખ્યા 5,89,916 અને અન્ય મતદારોની સંખ્યા 37 છે. ગાંધીનગર લોકસભા બેઠકમાં જાતિવાદ ગણિતની વાત કરવામા આવે તો પાટીદારો 15, ક્ષત્રિય 15, મુસ્લિમો 7 ટકા જ્યારે દલિત, ઓબીસી, બ્રાહ્મણ, વાણીયા અને જૈનની સરખી વસતી છે.
ગાંધીનગરનો રાજકીય ઈતિહાસ
વર્ષ 2014માં આ બેઠક પરથી ભાજપનાં કદ્દાવર નેતા લાલકૃષ્ણ અડવાણીએ જીત મેળવી હતી. જ્યા આ વખતે ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહ મેદાને ઉતર્યા છે. તો બીજી તરફ કોંગ્રેસનાં 2017માં ગાંધીનગર વિધાનસભા ફતેહ કરનાર ડૉ.સી.જે.ચાવડા મેદાનમાં ઉતર્યા છે. આ પહેલા ગાંધીનગર બેઠકથી આનંદીબેન પટેલ અને અનાર પટેલનું નામ ચર્ચામાં હતું. ગાંધીનગર લોકસભા બેઠકમાં ઘાટલોડિયા અને નારણપુરાનાં સવર્ણો ભાજપ તરફી જોવા મળે છે. જ્યારે ગાંધીનગર ઉત્તર, કલોલ અને સાણંદમાં જનતાને ભાજપ સામે રોષ જોવા મળ્યો છે. અહીનાં ગાંમડાઓની વાત કરવામાં આવે તો ક્ષત્રિય મતદારોની સંખ્યા વધુ છે.
ગાંધીનગર લોકસભા બેઠક પર આ બે બળીયાઓ વચ્ચે છે ખરાખરીનો જંગ
ગાંધીનગર લોકસભાની બેઠક માટે ભાજપે પાર્ટીનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમીત શાહને પસંદ કર્યા. અમીત શાહ હાલમાં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અને રાજ્યસભા સાંસદ છે. તે 2014માં ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. જ્યારે ડૉ. સી.જે. ચાવડા હાલ ગાંધીનગર ઉત્તરથી કોંગ્રેસનાં ધારાસભ્ય છે. તેઓ વ્યવસાયે વેટરનરી ડોક્ટર અને સર્જન છે.