પશ્ચિમ બંગાળના દુર્ગાપુરમાં રવિવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી હતી. કાલ બૈસાખી વાવાઝોડામાં એક પ્લેન એરપોર્ટ પર ઉતરતા પહેલા જ ફસાઈ ગયું હતું. પ્લેન વાવાઝોડામાં ફસાઈ ગયા બાદ તેની કેબિનનો સામાન પડવા લાગ્યો અને તેના કારણે તેમાં સવાર 40 મુસાફરો ઘાયલ થયા.
મળતી માહિતી મુજબ સ્પાઈસ જેટના બોઈંગ 737 એરક્રાફ્ટે મુંબઈથી દુર્ગાપુરના અંદાલ સ્થિત કાઝી નઝરૂલ ઈસ્લામ એરપોર્ટ માટે ઉડાન ભરી હતી. કાલ બૈસાખીના વાવાઝોડામાં ફસાઈ ગયું ત્યારે વિમાન એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. વિમાન હવામાં અટકી ગયું. આ દરમિયાન પ્લેનની કેબિનમાં રાખેલો સામાન પડવા લાગ્યો હતો.
પ્લેનની કેબિનમાં રાખેલો સામાન પડી જતાં 40 મુસાફરો ઘાયલ થયા હતા. વિમાનના લેન્ડિંગ બાદ તમામ ઘાયલોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જ્યાં 10ની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. અન્ય 30 ઘાયલોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે. સ્પાઈસજેટે પણ આ દુર્ઘટના અંગે નિવેદન જાહેર કર્યું છે.
સ્પાઈસજેટના પ્રવક્તાએ જણાવ્યું છે કે ફ્લાઈટ નંબર SG-945 મુંબઈથી દુર્ગાપુર માટે ઉડાન ભરી હતી. વાવાઝોડામાં ફ્લાઈટ ફસાઈ ગઈ, જેના કારણે કેટલાક મુસાફરોને ઈજા થઈ. સ્પાઈસજેટના પ્રવક્તાએ કહ્યું છે કે ફ્લાઇટ દુર્ગાપુર પહોંચતાની સાથે જ તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવામાં આવી હતી. અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરતાં સ્પાઈસજેટ એક્સપ્રેસે કહ્યું કે અમે ઘાયલોને તમામ શક્ય તબીબી સહાય પૂરી પાડી રહ્યા છીએ.