સુરત,
દેશમાં ઘણીવાર ન્યાયાયિક પ્રણાલી એટલી ધીમી ગતિએ ચાલતી હોય છે કે આરોપી કે ફરિયાદી માનસિક રીતે પડી ભાંગતા હોય છે. સુરતની લાજપોર જેલમાં કોઈ કાયદાકીય સજાના ચુકાદા વગર સાત વર્ષથી જેલમાં રહેનાર આરોપીએ ૨૪ તારીખે હાઇકોર્ટ રજીસ્ટ્રાને પત્ર લખીને ઇરછામૃત્યુની માંગ કરી છે. કથિત આરોપી વિરેન્દ્ર વૈષ્ણવ પર મર્ડરનો આરોપ છે અને તેના પર કલમ ૩૦૨, ૨૦૧ અને ૨૧૨ સહિતની બીજી કલમો હેઠળ મર્ડરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
આ પત્રમાં વિરેન્દ્ર વૈષ્ણવે જણાવ્યું છે કે સાત વર્ષથી તેના કેસને લઈને કોઇ પ્રગતિ થઇ નથી રહી.કાયદાકીય રીતે તેનો કેસ આગળ વધી નથી રહ્યો જેના કારણે તેનું સ્વાભિમાન ઘવાઇ રહ્યું છે અને તેને ભારે માનસિક યાતના માંથી પસાર થવું પડે છે.એટલું જ નહી પણ પોલીસ પણ તેની સાથે જેલમાં અમાનવીય વર્તન કરે છે અને તેને હેરાન કરે છે.
ઉપરાંત આરોપી વિરેન્દ્રએ તેના પત્રમાં કહ્યું છે કે ૫ માર્ચ,૨૦૧૮ પહેલા જો તેની ઇરછામૃત્યુની માંગણી નહિ સ્વીકારાય તો તે આ તારીખથી તેની સ્વેચ્છાએ અન્ન અને જળનો ત્યાગ કરશે. આથી તે અન્ન અને જળનો ત્યાગ કરે એ પહેલા તેના કેસનો નિકાલ થાય અથવા ઇરછામૃત્યુ આપે તેવી માંગણી કરી છે. આરોપીનું કહેવું છે કે તે મર્ડરના કેસમાં ખોટો સંડોવાયો છે.
તમને જણાવી દઈએ કે ભારતમાં ઇચ્છામૃત્યુ શક્ય નથી. કોઈ કાયદો ઇચ્છા મૃત્યુ માટે છૂટ આપતો નથી. ભારતની ન્યાયપ્રણાલી બહુ ધીમી અને જટિલ છે. અનેકના કેસનો અંત આવતો નથી જેના કારણે ઘણા કેદીની માનસિક પરિસ્થિતિ ખરાબ થઇ જાય છે.