@કૌશિક છાયા, કચ્છ
આજરોજ અંજાર તાલુકાના ખંભરા ગામે રાજયમંત્રી વાસણભાઇ આહિરના હસ્તે રૂ.૨.૪૩ કરોડના ત્રણ વિવિધ રોડ રસ્તાઓનું ખાતમુહર્ત કરાયું હતું. પંચાયત માર્ગ અને મકાન વિભાગ ભુજ અને પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ મુન્દ્રા દ્વારા નિર્માણ થનારા રોડ રસ્તાના ખાતમુહર્ત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કે, સત્તાના સાધનો વડે છેવાડાના માનવીનો વિકાસ કરવાના પંડિત દિનદયાળના સ્વપ્નને સરકાર સાકાર કરી રહી છે.
સામાજિકઅને શૈક્ષણિક રીતે પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી અને અંજાર ધારાસભ્ય વાસણભાઇ આહિરે આ તકે ગ્રામજનોને જણાવ્યું હતું કે, નાના ગામોને માળખાકીય સુવિધાઓ આપી મુખ્ય પ્રવાહમાં લાવી સરકાર વિકાસનો ગુરૂમંત્ર સાર્થક કરી રહી છે. રાજયમંત્રીએ કચ્છમાં થયેલા વિવિધ વિકાસકામોનો ચિતાર આપતાં જણાવ્યું હતું કે, યથા રાજા તથા પ્રજાની જેમ છેલ્લા બે દસકામાં આંખે ઉડીને વળગે તેવો વિકાસ થયો છે. પ્રજાવત્સલ પ્રધાનમંત્રી અને જનપ્રિય મુખ્યમંત્રી સમાજના દરેક વર્ગની સુખાકારી માટે સક્રિય છે.
રાજય સરકારે સાત પગલાં ખેડૂત કલ્યાણના, ખેડૂત આઇ પોર્ટલ અને આત્મા પ્રોજેકટ વગેરે અને તેના જેવી વિવિધ ખેડૂતલક્ષી યોજનાઓથી કૃષિ ક્રાંતિ કરવા ખેડૂતો અને પશુપાલકોના પડખે રહે છે. ખેડૂતોને હવે દિવસે પણ ૮ કલાક વિજળી મળશે તે દિવસો હવે દુર નથી. કૃષિ સાથે ઔધોગિક વિકાસના કારણે થયેલા પરિવર્તનની વિગતે માહિતી રજુ કરતાં આહિરે સમાજના તમામ લોકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો.
પ્રાસંગિક ઉદબોધનમાં અગ્રણી કાનજીભાઇ શેઠે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ થતાં અને થયેલા રોડ રસ્તાની વિગતો રજુ કરી વિવિધ યોજનાઓથી સૌના કલ્યાણ માટે સક્રિય સરકારની નીતિ જણાવી ગ્રામજનોને મતદારયાદી સુધારણા અભિયાન હેઠળ જરૂરત પ્રમાણે બીએલઓ નો સંપર્ક કરવા જણાવ્યું હતું.
અગ્રણી દેવજીભાઇ સોરઠીયાએ ખાતમૂહર્ત કરાયેલા રસ્તાઓની વિગત આપતાં જણાવ્યું હતું કે, રૂ.૭૪.૫૭ લાખના ખર્ચે ખંભરાવાડી વિસ્તારથી પ્રાથમિક શાળા રોડ, રૂ.૫૪.૯૦ લાખના ખર્ચે સિનુગ્રા થી હડમતિયા અને રૂ.૧.૧૩ કરોડના ખર્ચે રતનાલ ચંદિયા-ભલોટ રોડના રીસરફેસીંગ પૈકી કુલ રૂ.૨.૪૩ કરોડના ખર્ચે આ રોડ રસ્તાઓ બનશે.
જયારે ભૂમિત વાઢેરે ગ્રામ્યસ્તરે થયેલા વિવિધ વિકાસ કામોની રજુઆત કરી ખેડૂતોની ખેતી માટે સરકાર દ્વારા કરાતી સહાય અંગે લોકોને માહિતગાર કર્યા હતા.
આ તકે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ગોવિંદભાઇ ડાંગર, ભલોટ, ખંભરા, રતનાલ, ચંદિયા, સિનુગ્રાના સરપંચશ્રીઓ અને અગ્રણીઓ સર્વશ્રી મ્યાજરભાઇ છાંગા, ત્રિકમભાઇ છાંગા, વ્હાલાભાઇ હુંબલ, પ્રકાશ હુંબલ, સામજીભાઇ મહેશ્વરી, દક્ષાબેન ચાવડા, એપીએમસી ડાયરેકટર કરશનભાઇ, લતીફશાબાપુ, નરેન્દ્રસિંહ બાપુ, ઈન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ વ્યાસ, સેકશન ઓફિસર સૈયદ તેમજ ગ્રામજનો કોવીડ-૧૯ની માર્ગદર્શિકા અનુસાર ઉપસ્થિત રહયા હતા.