મહુડી (મધુપુરી) જૈન તિર્થ ખાતે તારીખ 24 ઓક્ટોબર 2022ને સોમવાર કાળીચૌદશ નિમિતે ઘંટાકર્ણવીરની પૂજા, હવન તેમજ પ્રક્ષાલન વિધિનો કાર્યક્રમ યોજાશે. આ માટેની તમામ લાભોના ચઢાવા (બોલી) તા.23 ઓક્ટોબરને રવિવારના રોજ રાત્રે 7 કલાકે ભાવનામાં બોલવામાં આવશે. કાળી ચૌદસના પવિત્ર દિવસે વહેલી સવારથી મોટી સંખ્યામાં જૈન પરિવારો અને દાદાના ભક્તો મોટી સંખ્યામાં પવિત્ર યાત્રાધામ મહુડી પધારે છે અને હવનમાં જોડાઇને ચમત્કારિક મંત્રના 108 જાપ કરવાની સાથે સાથે નાડાછડીની ગાંઠ વાળતા હોય છે. 12.39ના શુભ મુર્હૂતે હવન સમયે 108 વખત ઘંટારણ કરીને દરેક ઘંટનાદ સાથે હવનમાં આહુતિ આપવામા આવતી હોય છે.
આ દિવસે શ્રધ્ધાળુઓ પગના અંગુઠાથી માથા સુધીની લંબાઇ ધરાવતી નાડાછડી અથવા લાલ રંગની કંદોરીની 108 ગાંઠો વાળે છે. પહેલો ડંકો વાગે જૈન-જૈનેત્તર ભાવિકો દ્વારા કંદોરીની 1 ગાંઠ વાળવામાં આવે છે. સર્વ મનોકામના પૂરી કરતો 108 ગાંઠોનો દોરો અતિ પવિત્ર ગણવામાં આવે છે. શ્રી મહુડી(મધુપુરી) જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ટ્રસ્ટ દ્વારા તારીખ 24 ઓક્ટોબર 2022ને સોમવાર કાળીચૌદશ નિમિતે ઘંટાકર્ણવીરની પૂજા, હવન તેમજ પ્રક્ષાલન વિધિના આ વિશેષ કાર્યક્રમનો લ્હાવો આપ સૌ લઇ શકો છો.મંત્રોચ્ચાર સાથે ગઠબંધન કરવાની રીતહવન સમયે ગઠબંધનનો લાભ લેવા માટે આપશ્રીએ સ્નાનાદી કાર્ય કરીને સ્વચ્છ વસ્ત્રો ધારણ શ્રી ઘંટાકર્ણવીરની તસવીર સમક્ષ બેસી માથાથી પગ સુધીની નાડાછડી અથવા દોરી લઇને ચમત્કારિક મંત્રોચ્ચારના ઉચ્ચારણ બાદ ડંકો વાગે તે સમયે ગઠબંધન કરવાનું રહેશે. 108 મંત્રોચ્ચાર થશે અને 108 વખત ડંકો વાગશે અને 108 ગાંઠો વાળવાની રહેશે.