દેશમાં અત્યારે કોરોના અને ચૂંટણીજવર સમાંતર દોડે છે. ઈશાન પૂર્વના મહત્ત્વના રાજ્ય તરીકે જેની ગણના થાય છે તેની ૧૫મી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. આ રાજ્ય ચાના બગીચા માટે ખ્યાતનામ છે અને તેથી જ ચાના બગીચાના મજૂરોની રોજીનો પ્રશ્ન કોંગ્રેસના યુવરાજ ગણાતા રાહુલ ગાંધીએ ઉઠાવ્યો અને આસામ સરકારે ચૂંટણી જાહેર થાય તે પહેલા ચાના બગીચાના મજૂરોનું વેતન પણ વધારી દીધું. આસામની જાહેર સભામાં રાહુલ ગાંધીએ ગુજરાતી વેપારીઓના ચાના બગીચા એવું જે વિધાન કરેલું તે અંગે ભાજપના ગુજરાતના આગેવાનોએ ગુજરાતનું અને ગુજરાતના વેપારીઓનું અપમાન છે તેમ કહીને કાગારોળ કરી મૂકી હતી. આ આસામમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યાં ભાજપ પણ તેના આસામ ગણપરિષદ અને અન્ય એક સાથીદાર સાથે લડે છે. તો કોંગ્રેસ પણ ત્યાંના એક સ્થાનિક પક્ષ તેમજ ડાબેરી પક્ષોને સાથે રાખીને ચૂંટણી જંગના મેદાનમાં ઉતરેલ છે.
હવે આસામમાં ૨૦૧૬માં યોજાયેલ ચૂંટણીમાં ૧૨૬માંથી ૮૬ બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને માત્ર ૨૬ બેઠકો મળી હતી. ત્યારબાદ યોજાયેલી ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ૧૨ પૈકી ૯ બેઠકો જીતી સપાટો બોલાવ્યો હતો. કોંગ્રેસને માત્ર ૩ બેઠકો સાથે સંતોષ માનવો પડ્યો હતો. અન્ય બે બેઠક સ્થાનિક પક્ષ અને અપક્ષના ફાળે ગઈ હતી. એક વાત યાદ આપીએ કે ૨૦૦૪ થી ૨૦૧૪ સુધી દેશના વડાપ્રધાન રહેલા કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અને વિશ્વના પ્રસિદ્ધ અર્થશાસ્ત્રીઓમાં જેમનું નામ છે તે મનમોહનસિંહ આસામના વિધાનસભામાંથી જ રાજ્યસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા.
આસામ ભરે નાનકડું રાજ્ય કહેવાતું હોય પરંતુ પશ્ચિમ બંગાળની જેમ ચાનું હબ છે. તે વાત તો નોંધવી જ પડે તેમ છે. ૧૯૫૨ થી ૨૦૧૬ સુધીમાં વિધાનસભાની ૧૪ ચૂંટણી યોજાઈ તેમાં ૧૦ વખત કોંગ્રેસ ચૂંટણી જીતી છે. બિશ્નું શરમંધી, બી.પી. ચાલીહા, મહેન્દ્ર મોહન ચૌધરી, શરદચંદ્ર સિંહા, ગોપીપ બોરબીંટા (જેપી) જાેગેન્દ્રનાથ હઝારીકા, અનવરા તૈમુર, કેશવચંદ્ર ગોગોઈ, હિતેશ્વર સૈકીયા, ભૂમીંદર બર્મન અને તરૂણ ગોગોઈ (ત્રણ વખત) મુખ્યમંત્રી બની ચૂક્યા છે. ૧૯૮૦ના સમયગાળા દરમિયાન તો કોંગ્રેસને પાંચ વર્ષમાં બે બે વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા હતા. તરૂણા ગોગોઈ એક જ એવા મુખ્યમંત્રી હતા જેમણે એક નહિં પણ ત્રણ ટર્મ પૂરી કરી હતી. જનતા પક્ષને પણ બે વખત મુખ્યમંત્રી પદનો હવાલો સંભાળવાનો વારો આવ્યો છે અને જાે કે બબ્બે વખતે તેને કોંગ્રેસનો ટેકો હતો.
૧૯૮૦ બાદ આસામમાં બાંગ્લાદેશીઓની ઘૂસણખોરીના પ્રશ્ને વિદ્યાર્થીઓએ ઉગ્ર આંદોલન કર્યુ અને તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીની કેટલીક ખાતરીઓ બાત આંદોલન સમેટાયું, પરંતુ આ આંદોલનમાં ભાગ લેનારા તે વખતના વિદ્યાર્થી આગેવાનોએ આસામ (અસમ) ગણપરિષદની સ્થાપના કરી (જેમ દિલ્હીમાં અણ્ણા હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન બાત અરવિંદ કેજરીવાલ અને તેના સાથીદારોએ આમ આદમી પાર્ટીની રચના કરી હતી. હવે આ પક્ષ ચૂંટણી પણ લડ્યો અને જીત પણ મેળવી અને ૧૯૮૫માં આઠમી વિધાનસભાની ચૂંટણીમાં તમામ રાજકીય પ્રતિસ્પર્ધીઓ સામે ઝઝૂમીને સત્તા પણ મેળવી. પૂરા પાંચ વર્ષ રાજ કર્યું પણ ૧૯૯૧માં આંતરીક ખેંચતાણથી ગણપરિષદ હારી. જાે કે ૧૯૯૬માં ફરી ગણપરિષદ સત્તા મેળવી અને પ્રફુલ્લચંદ્ર મહંતો બીજીવાર મુખ્યમંત્રી બન્યા. જાેકે તે વખતે તમને અન્ય પક્ષોનો સાથ સહકાર અને ટેકો લેવો પડ્યો હતો તે જુદી વાત છે. પરંતુ ત્યારબાદ ૨૦૦૧, ૨૦૦૬ અને ૨૦૧૧ની ચૂંટણીમાં એજીપી સફળ ન થઈ. ભાજપના પ્રવેશ સાથે આસામમાં તેની બેઠકો વધી પણ આસામમાં સતત ૧૫ વર્ષ સુધી શાસન તો કોંગ્રેસનું જ હતું.
૨૦૧૪માં લોકસભાની ચૂંટણીમાં ૧૪ પૈકી ૧૦ બેઠકો જીતી આસામમાં ભાજપે તાકાત દેખાડી અને આસામમાંથી ચૂંટાયેલા સાંસદ સર્વાનંદ સોનોવાલને કેન્દ્રના પ્રધાનમંડળમાં મહત્ત્વનું સ્થાન મળ્યું. આ સર્વાનંદ સોનોવાલનું મૂળ રાજકીય ગૉત્ર આસામ ગણપરિષદ હતું પરંતુ તેઓ ૨૦૦૩ બાદ ભાજપમાં જાેડાયા હતા. ૨૦૧૬માં જ્યારે આસામ વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ત્યારે ભાજપને સર્વાનંદ સોનોવાલને મુખ્યમંત્રીપદનો ચહેરો જાહેર કર્યો અને એજીપી અને બે સાથી પક્ષ સાથે ૮૬ બેઠકો મળી. ટૂંકમાં ૨૦૧૪ થી આસામમાં મોદી, સોનોવાલ યુગનો આરંભ થયો તે આજની તારીખમાં યથાવત્ છે. ૨૦૧૯માં પણ ૪૫ ટકાથી વધુ મત મેળવી ભાજપે લોકસભાની ૯ બેઠકો જીતી હતી.
હવે ૨૦૨૧ની ચૂંટણીમાં એજીપી તો ભાજપ સાથે છે પણ અન્ય સાથી પક્ષ કોંગ્રેસ સાથે બેઠો છે. સીએએનો સંવેદનશીલ મામલો ભાજપને ઓછામાં ઓછી ૪૭ બેઠકો પર નડે છે તો ચાના બગીચાવાળા વિસ્તારોમાં માલિકો ભલે ભાજપ સાથે છે પણ આસામ સરકારે ચૂંટણી જાહેર થતાં પહેલા વેતનવધારાની જાહેરાત કરી હોવા છતાં ચાના બગીચાના કર્મચારીઓ કોંગ્રેસ અને તેના ગઠબંધન સાથે છે. ત્યાં ચાના બગીચાઓમાં કામ કરતાં કર્મચારીઓના જે બે યુનિયનો ચાલે છે તેમાંથી એક યુનિયન ઈન્ટુક (કોંગ્રેસનું મજૂર સંગઠન) અને બીજુ સીટુ (સામ્યવાદીઓના શ્રમજીવી સંગઠન) સાથે છે. અને આ વખતે ડાબેરીઓ કોંગ્રેસની સાથે ગઠબંધનમાં છે તેથી આ મતો સાગમટે કોંગ્રેસમાં પડે તેવી શક્યતા નકારી શકાતી નથી. આમ આ વખતનો ચૂંટણીજંગ એકતરફી નથી. જોકે પાંચ વર્ષની એન્ટી ઈન્કમ્બન્સી અને સીએલ અને કર્મચારીઓના સળગતા સવાલો વચ્ચે મોદી મેજીક જ ભાજપને ફરી સત્તા અપાવી શકે તેમ છે. જાે કે મોટાભાગના ઓપીનિયન પોલ પણ ભાજપની સત્તાનાં સ્પષ્ટ સંકેત આપે છે. જાે કે મોદીનો જાદુ ચાલે છે કે પછી શાસક પક્ષ વિરોધી મોજુ અસર કરે છે તેની ખબર તો બીજી મે એ જ પડશે. આ વખતે ત્યાં મુખ્યમંત્રી સોનાવર્ણેના બદલે મોદીના પોસ્ટરો જ વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યા છે.