સંજય મહંત, મંતવ્ય ન્યુઝ-સુરત
સુરત શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા વિસ્તારમાં એક યુવાને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ખાનગી ફાયનાન્સ કંપનીઓની પઠાણી ઉઘરાણી અને જેલમાં નખાવી દેવાની ધમકીથી ડરીને ફાંસો ખાય આપઘાત કર્યો હોવાનો પરિવારે આક્ષેપ કર્યો છે. આપઘાત પહેલાં 25 વર્ષીય વિજય લખારા 3 વર્ષની દીકરી અને પત્નીને લઈ સાસરીમાં મદદની પુકાર લગાવવા ગયો હતો. જ્યાંથી કોઈ સહાય ન મળતા પરિવારને છોડી ઘરે આવી ગયો હતો. ખાનગી ફાયનાન્સ કંપનીઓના ત્રાસથી આપઘાત કરનાર ભાઈને ન્યાય મળે એ માટે ભાઈ નિખિલે પોલીસ અને સામાજિક સંસ્થાઓની મદદ માટે પુકાર લગાવી છે.
3 વર્ષની દીકરીએ પિતાની છત્રછાયા ગુમાવી
નિખિલ લખારા (મૃતકનો મોટોભાઈ) એ જણાવ્યું હતું કે, વિજય રામજી લખારા (ઉ.વ. 25, રહે. સુખ સગાર એપાર્ટમેન્ટ, પાલનપુર જકાત નાકા, અડાજણ) પહેલા કિરણ જવેલર્સમાં નોકરી કરતો હતો. લોકડાઉનમાં નોકરી છૂટી ગયા બાદ આર્થિક પરિસ્થિતિ નબળી બની ગઈ હતી. 3 વર્ષની દીકરી અને પત્ની સાથે માતાના ભરણ-પોષણની જવાબદારી વિજય પર હતી
મોટાભાઈને નાનોભાઈ લટકતો મળ્યો
વધુમાં જણાવ્યું હતું કે, પત્નીનો ફોન ન ઉપાડતા ભાભીએ મને ફોન કરી તપાસ કરવા જાણ કરી હતી. હું વિજયના ઘરે પહોંચ્યો તો તેને દરવાજો ન ખોલ્યો જેથી મેં દરવાજો તોડતા એ ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. હાલ અડાજણ પોલીસને તમામ સત્ય હકીકત જણાવી દીધી છે.