સુરત
સુરતના કિમ ચાર રસ્તા નજીક આવેલા સિયાલાજ પાટિયા પાસેની અકસ્માતની ગમખ્વાર ઘટના બની હતી. ભરૂચ પાસે નર્મદા નદીમાંથી બે કાવડિયા કાવડ ભરી પરત ફરી રહ્યા હતા ત્યારે એક ટ્રકચાલકે તેમને ઉડાવી દેતા તેમાંથી 1 નું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જયારે એક ઇજાગ્રસ્ત થયો હતો. આ ઘટનાને પગલે 500થી વધુ કાવડીયાઓએ હાઇવે પર ચક્કાજામ કર્યો હતો.
થોડા દિવસ પહેલા દિલ્હીના મોતીનગર વિસ્તારમાં આસ્થાના નામે કાવડિયાઓની ગુંડાગીરી સામે આવી હતી . અહીં કાર દ્વારા અકસ્માત સર્જાયા બાદ કાવડિયાઓએ ખૂબ જ હંગામો મચાવ્યો હતો અને એક કાર પર પોતાનો ગુસ્સો કાઢ્યો હતો.
કાર દ્વારા એક કાવડિયાને ઇજા થયા બાદ કાવડિયાઓએ લાઠી-ડંડાથી કાર પર હુમલો કરી દીધો હતો. કાવડિયાઓની ભીડે એક પછી એક કાર પર લાઠીઓ વરસાવવાનું શરૂ કરી દીધું હતું, જેમાં કોઇ કારના બોનેટ પર હુમલો કરાયો તો કોઇ કારના બારીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા.
આ માર્ગ પર કાવડિયાઓની ભીડ જમા થતી ગઇ અને પસાર થતી કાર પર લાઠીઓ વરસતી રહી. આ દરમિયાન માર્ગ પર ટ્રાફિક ચાલુ રહ્યો, પરંતુ કોઇએ પણ કાવડિયાઓ પાસે જવાની હિંમત કરી નહીં. કારના કાચ અને બારીઓ તોડ્યા બાદ પણ કાવડિયાઓનો ગુસ્સો શાંત થયો નહીં અને આખરે એ કારને ઊંધી વાળી દીધી.
ત્યાર બાદ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા, પરંતુ ગુંડાગીરી પર ઊતરેલા કાવડિયાઓને રોકવામાં નાકામિયાબ રહ્યા. પોલીસની હાજરીમાં પણ કાવડિયાઓની ભીડ કાર પર ગુસ્સો ઠાલવતી રહી હતી.