2019ની લોકસભાની ચૂંટણી સમયે મુકુલ રોય અને કૈલાસ વિજય વર્ગીયની સંગઠન શક્તિએ ભાજપની તાકાત એકમાંથી 19 બેઠકો કરી બતાવી હતી
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કોરોનાનો કહેર થોડો ઘટ્યો છે તો તેની સાથોસાથ રાજકીય દાવપેચોનો નવો અધ્યાય શરૂ થઈ ગયો છે. રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ એ બન્ને પક્ષોમાં ડખા પંચક છે. સચીન પાયલોટ અને મુખ્યમંત્રી અશોક ગેહલોત વચ્ચેના સંબંધોની કડવાશ ‘જૈશે થે’ છે. ભાજપમાં વસુંધરા રાજે અને ભાજપના પ્રદેશ પ્રમુખ સતીશ પૂનિયા વચ્ચેની ખેંચતાણ પરાકાષ્ટાએ છે. યુપીમાં જતીનપ્રસાદ જેવો મોટો ચહેરો મેળવ્યાનો જશ્ન ભાજપ મનાવે છે. તો બીજી બાજુ ચૂંટણીમાં ભાજપે ગુમાવેલું રાજ્ય પશ્ર્ચિમ બંગાળમાં ટીએમસીમાં શરૂ થયેલી ઘર વાપસીની પ્રક્રિયાએ ભાજપના મોવડી મંડળને વધુ ચિંતામાં મૂકી દીધું છે. TMC છોડી ભાજપમાં ચાલવાની શરૂઆત કરનાર મુકુલ રોયને પ્રારંભમાં તો ભાજપે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવી દીધા હતા. પરંતુ 2021ના પ્રારંભમાં છેવાડે ધકેલી દીધા અને તેના પરિણામ સ્વરૂપ તેઓએ અત્યંત નારાજગી સાથે ટીએમસીમાં ઘરવાપસી કરી છે. બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ખુદ પત્રકાર પરિષદ યોજી તેમને આવકાર્યા છે અને જેમની સાથે મતભેદોની વાત થતી હતી તે મમતા દીદીના ભત્રીજા અભિષેક બેનરજીએ મુકુલ રોય અને તેના પુત્રને ટીએમસીનો ખેસ પહેરાવી આવકાર્યા છે. મુકુલ રોયે પણ આ પ્રસંગે કહેલું કે મમતા બેનરજી રાષ્ટ્રના માન્ય નેતા છે.
ભાજપના પ્રવક્તા સંદીપ પાત્રા અને બંગાળ ભાજપના કેટલાક નેતાઓએ મુકુલ રોયના જવાથી બંગાળમાં ભાજપને કોઈ ફેર પડવાનો નથી તેવી વાત કરી પરંતુ ભાજપના એક સાંસદ સહિત વધુ સાતથી આઠ નેતાઓ ભાજપ છોડી TMCમાં જોડાવા લાઈનમાં ઉભા છે. આ એક વધુ ચીંતાજનક બાબત ભાજપ માટે છે. 2018ના પ્રારંભકાળમાં મુકુલ રોયે TMC છોડી અને ભાજપના સંગઠનને મદદરૂપ બનવા માટે અને ટીએમસી ડાબેરીઓ અને કોંગ્રેસના નારાજ નેતાઓએ ભાજપમાં જોડવાની ક્વાયત શરુ કરી હતી. બંગાળમાં ભાજપના સંગઠનનો વ્યાપ વધારવા મુકુલ રોયે જે કામગીરી કરી છે તે વાત તો બંગાળમાં ભાજપના પ્રભારી એવા કૈલાસ વિજયવર્ગીય જ કરી શકે તેમ છે. મતુઆ સમાજના નેતાને ભાજપમાં લાવવાની ભૂમિકા મુકુલ રોયે ભજવી હતી. જેના કારણે ભાજપની ચાર સંસદીય બેઠકો અંકે કરી હતી. દિનેશ ત્રિવેદીને હરાવનાર અમૃતસિંઘ જેવા મહત્વના નેતાને ભાજપમાં લાવવાનો તખ્તો મુકુલ રોયેજ ગોઠવ્યો હતો. યુપીએ સરકારના રેલવે મંત્રી દિનેશ ત્રિવેદી પણ હતા અને તેમના અનુગામી મુકુલ રોય હતા. દિનેશ ત્રિવેદી બંગાળ વિધાન સભાની ચૂંટણીમાં પડઘમ વાગ્યા ત્યારે ભાજપમાં જોડાયા હતા પરંતુ ભાજપના સ્ટાર પ્રચારકોની યાદીમાં પણ આ ગુજરાતી (કચ્છી) નેતાનું નામ નહોતું. ભલે હવે ગૃહમંત્રી અમિત શાહ 2019ની લોકસભાની ચૂંટણીમાં ભાજપની એકમાંથી 19 બેઠકો જીતાડવાનો યશ ખાટતા હોય પરંતુ હકિકતમાં મુકુલ રોયના કારણેજ ભાજપની તાકાત વધી હતી. મોદીના કહેવાથી જે.પી.નડ્ડાએ રોયને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા હતા અનેે મુકુલ રોયને દવાખાનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફોન કરીને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
શૂભેન્દુ અધિકારીને ટીએમસીમાં આવતા રોકવા મુકુલ રોયે પોતાનાથી બનતા પ્રયાસો કર્યા હતા પરંતુ અમીત શાહ અને જે.પી.નડ્ડાની જીદથી મોદીએ અધિકારીને આવકાર્યા હતા. અધિકારીના આગમન સાથે જ ભાજપના મોવડી મંડળે મુકુલ રોય અને તેના પુત્રને ધારાસભા ચૂંટણીની ટિકિટ તો આપી આ સિવાય હાંસિયામાં ધકેલવા જેવી સ્થિતિ સર્જી દીધી હતી. મુકુલ રોયે તૃણમુલના તણખલા અને ડાબેરીઓ અને કોંગ્રેસના અસંતુષ્ઠોને ભાજપમાં લાવી જિલ્લા કક્ષાએ ભાજપની હાલત સુધારી છે. તમામ જિલ્લાઓમાં મુકુલ રોયના ટેકેદારો છે હવે ક્રમશ: તેમણે ટીએમસીમાં પરત આવવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે. આ પણ એક નોંધવા જેવી બાબત કહી શકાય તેમ છે. બંગાળના રાજકારણના નિષ્ણાત એવા એક રાજકીય વિશ્ર્લેષકે બંગાળના ચૂંટણી પરિણામો બાદ એવું સ્પષ્ટ મંતવ્ય વ્યક્ત કર્યુ હતું કે મુકુલ રોય સંગઠનના નેતા છે. તેણે 2019માં લોકસભાની ઓછામાં ઓછી સાતથી આઠ બેઠકો જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે
આ વખતે રોય અધિકારીના કારણે થોડા નિષ્ક્રિય હતા. જ્યારે શુભેન્દુ અધિકારી પોતે તો નંદી ગ્રામની બેઠક જીત્યા મમતા બેનરજીએ 1900 મતે હરાવીને ટીએમસી માટે ગઢ આલા પણ સિંહ કે સિંહણ ગેલા જેવી સ્થિતિ સર્જી પરંતુ નંદીગ્રામ સિવાયની આસપાસની 28 પૈકી એક પણ બેઠક અધિકારી ભાજપને અપાવી શક્યા નથી તે પણ હકિકત છે. પોતાના ભાઈ અને પિતાના સંસદીય મત વિસ્તારની 16 પૈકી માત્ર ચારજ બેઠકો ભાજપને અપાવી શક્યા છે. ભલે જાયન્ટ કિલર ગણાવી નડ્ડા-શાહની જોડીએ શુભેન્દુ અધિકારીને વિપક્ષના નેતા બનાવવા વડાપ્રધાન મોદીને સમજાવ્યા હોય પણ હકિકતમાં શૂભેન્દુ અધિકારીને અપાયેલા વધારે પડતા મહત્વથી વડાપ્રધાન પોતે ખૂશ નથી. પશ્ચિમ બંગાળમાં ભાજપને મજબૂત બનાવવા સંઘર્ષ કરનાર પ્રદેશ ભાજપ પ્રમુખ દિલીપ ઘોષ અને તેમની ટીમ પણ જરાય ખૂશ નથી. ખૂદ બંગાળના ભાજપના પ્રભારી કૈલાસ વિજયવર્ગીય પણ બંગાળનો હવાલો છોડવા તૈયાર થયા છે. ભલે તેમણે શીસ્તબદ્ધ સૈનિક તરીકે કોઈ કારણ આપ્યું ન હોય પરંતુ શુભેન્દુ અધિકારીને અપાયેલું વધુ પડતું મહત્વ તેમને પણ ખૂચ્યું છે.
નજીકના ભવિષ્યમાં બંગાળમાં 100 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે તેમાં ટીએમસીની હાલત મજબૂત બનાવવામાં મુકુલ રોયની ઘરવાપસી એક મુખ્ય પરિબળ બની શકે છે. જ્યારે ભાજપને વિચારવું પડે તેવું પાસું પણ બની શકે છે. મમતા બેનરજીને રાષ્ટ્રીય કક્ષાના નેતા બતાવવા અને ટીએમસી દ્વારા સમગ્ર દેશમાં સંગઠનનો વ્યાપ વધારવા જે જાહેરાત ટીએમસી દ્વારા થઈ છે તે અભિયાન મુકુલ રોયની ઘર વાપસી સાથે વધુ મજબૂત બની શકે છે. ટીએમસીમાં જોડાતી વખતે મુકુલ રોયે ભાજપ કે તેની નેતાગીરી સામે કોઈ પ્રહારો કર્યા નથી જો કે 2018માં ટીએમસી છોડી ભાજપમાં જોડાયા ત્યારે પણ તેમણે મમતા બેનરજી કે તેમની સરકારની નીતિ પર કોઈ પ્રહારો કર્યા નહોતા
2019ના ચૂંટણી પ્રચાર વખતે કે 2021ના મર્યિદિત ચૂંટણી પ્રચાર વખતે પણ આજ વલણ જાળવી રાખ્યું હતું. વિધાન સભા ચૂંટણીના પડઘમ પહેલા ભાજપે જય શ્રી રામના નારા સાથે પ્રચાર શ કર્યો ત્યારે પણ મુકુલ રોયે ગૃહમંત્રી અમિત શાહ સહિતના ભાજપના નેતાઓને ચેતવ્યા હતા કે બંગાળમાં હિંદુ કાર્ડ ચાલે નહિ પરંતુ ભાજપના નેતા અને તેમના ભક્તોને તો ધર્મના સહારેજ સત્તા મેળવવી છે અને જાળવવી છે. ભૂખ્યા પેટે લોકોને ભજન કરવાની ફરજ પાડવી છે તેવી ટકોર સાથે એક વિશ્લેષકે લખ્યું છે કે, બંગાળમાં આજ પ્રકારની નીતિ ભાજપને નડી ગઈ છે. મુકુલ રોયની તૃણમુલમાં ઘર વાપસી બંગાળમાં જલ્દી સત્તા પર આવવા થનગની રહેલા ભાજપ માટે ખતરાની ઘંટી બની ગઈ છે.