જમ્મુ-કાશ્મીર,
જમ્મુના સુંજવા આર્મી કેમ્પ પર શનિવારે આતંકવાદીઓએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ૫ જવાનો શહીદ થયા હતા. જયારે જવાનો તેમજ સ્થાનિકો સહિત કુલ ૧૧ લોકો ઘાયલ હતા. જેમાં સાજદા નામની એક પ્રેગનેન્ટ મહિલા પણ શામેલ હતી. ત્યારબાદ તેઓને સતવારીની મીલિટ્રી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતા અને પુત્રીને જન્મ આપ્યો હતો.
સાજદાએ ડોક્ટરોનો આભાર માનતા જણાવ્યું હતું, “ડોક્ટરોએ મને અને મારી બાળકીને બચાવી લીધી. મને ઘર કરતા પણ વધુ આરામ અહીં હોસ્પિટલમાં મળી રહ્યો છે.”
ઉલ્લેખનીય છે કે, જૈશે મોહમ્મદના આતંકવાદીઓએ શનિવારે સવારે સુંજવાન આર્મી કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં રાઈફલમેન અહેમદ ખાન અને તેમની પ્રેગ્નેન્ટ પત્ની સાજદાને પીઠ પર ગોળી વાગી હતી. સાજદા તેના પરિવારજનો સાથે એ સમયે ક્વાર્ટરમાં જ હતી. ત્યારબાદ તેઓને આર્મી કવાટર્સથી મિલેટ્રી હોસ્પિટલ એરલીફ્ટ કરાયા હતા અને ત્યાં તેઓએ ૨.૫ kgની બાળકીને જન્મ આપ્યો હતો.
રાઈફલમેન અહેમદ ખાનની પ્રેગ્નેન્ટ પત્ની સાજદાને જ્યારે ગોળી વાગી ત્યારે તે ૨૮ અઠવાડિયાના ગર્ભવતી હતી. આતંકવાદીઓએ ગોળીબારી કરતા સાજદાની પીઠ પર ગોળી વાગી હતી. લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી અને પછી તેની ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવી હતી.
HOD કર્નલ જ્યોતિ જોશીએ જણાવ્યું કે, આ એક એવુ ઓપરેશન હતુ જેમાં સાજદાને દવા કરતા દુવાની વધારે જરૂર હતી. હોસ્પિટલમાં ડોક્ટર સાજદાને બચાવવાની કવાયતમાં લાગ્યા હતા અને તે જીવન-મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી.
મહત્વનું છે કે, આર્મી કેમ્પ પર થયેલા આ ફાયરિંગમાં ૫ જવાન શહીદ થઈ ગયા હતા. જો કે ત્યારબાદ સેનાની જવાબી કાર્યવાહીમાં આર્મીએ ૪ ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. આતંકવાદીઓ સુંજવાના જે કેમ્પમાં ઘૂસ્યા હતા તે આર્મીનો રહેણાંક વિસ્તાર હતો. અહીં જવાનો અને તેમના પરિવારજનો માટે રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ બનાવવામાં આવ્યું છે.