દિલ્હી
સીબીઆઈ પ્રમુખ આલોક વર્માને ફરજીયાત રજા પર ઉતારી દીધા પછી દેશમાં આ સર્વોચ્ચ તપાસ એજન્સી પર સવાલો ઉભા થયા છે. જો કે સીબીઆઇના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આલોક વર્મા સીબીઆઇના ડાયરેક્ટર તરીકે ચાલુ રહેશે અને રાકેશ અસ્થાના પણ સ્પેશિયલ ડાયરેક્ટર બની રહેશે.આ બંને સામેના આરોપો મામલે સીવીસી તપાસ કરી રહી છે ત્યાં સુધી નાગેશ્વર રાવ સીબીઆઇના વચગાળાના ડાયરેક્ટર તરીકે કામ કરશે.
સીબીઆઇ પ્રવક્તાએ એમ પણ કહ્યું કે અમને જાણ છે કે આનાથી સીબીઆઇની છબી પર અસર થશે પરંતું અમે એ વાતને સુનિશ્ચિત કરીશું કે સીબીઆઇની છબીને નુકસાન ના પહોંચે.
ઉલ્લેખનીય છે કે પોતાને ફરજીયાત રજા પર ઉતારી દીધા પછી આલોક વર્માએ આ આદેશ સામે સુપ્રિમ કોર્ટમાં પીટીશન દાખલ કરી છે.સુપ્રિમ કોર્ટ આલોક વર્માની પીટીશન પર શુક્રવારે સુનવણી કરશે.
સીબીઆઇના બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચેના ગજગ્રાહ પછી દેશની આ ટોપ લેવલની તપાસ એજન્સીની વિશ્વસનીયતા પર સવાલો ઉભા થયા પછી કેન્દ્ર સરકારના નાણામંત્રી અરૂણ જેટલીએ કાળા ડાઘા પર લીપાપોતી કરવાનો પ્રયત્ન કર્યો હતો. અરૂણ જેટલીએ સ્વીકાર્યું હતું કે સીબીઆઇમાં જે બે ઉચ્ચ અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ થયો છે તેનાથી એક વિચિત્ર અને દુર્ભાગ્યપુર્ણ સ્થિતિ ઉભી થઇ છે.