દિલ્હી,
લગભગ ચાર મહિના પહેલા દિલ્હીના બુરાડી વિસ્તારના એક ઘરમાંથી એક સાથે 11 મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારથી લઈને અત્યાર સુધી એક જ સવાલ દરેકને સતાવી રહ્યો હતો કે આ 11 મોતનુ રહસ્ય આખરે શું છે? મોટાભાગના લોકો એ માનવા તૈયાર જ નહતા કે એક જ ઘરના 11 લોકો એકસાથે આવી રીતે આત્મહત્યા કરી શકે છે. ત્યારે આ ખતરનાક ઘટનાના ચાર મહિના બાદ હવે આ મામલે દિલ્હી પોલીસે એક ખૂબ જ ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ મામલે ક્રાઈમબ્રાંચે જણાવ્યુ છે કે, એ રાત્રે બુરાડીના તે ઘરમાં જે પણ ઘટના બની હતી તે હત્યા અથવા આત્મહત્યા નહોતી પરંતુ તે માત્ર એક અકસ્માત હતો.
સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દેનાર આ ઘટનાના સત્ય સુધી પહોંચવા માટે દિલ્હી પોલીસની ક્રાઈમબ્રાંચે કંઈ જ બાકી રાખ્યુ નહતુ. હવે લગભગ ચાર મહિના બાદ ક્રાઈમબ્રાંચ એ નિષ્કર્ષ પર પહોંચ્યુ છે કે, 1 જુલાઈ 2018ના રોજ સર્જાયેલ બુરાડીકાંડ હત્યા કે આત્મહત્યા નહીં પણ એક અકસ્માત હતો. હકીકતમાં ક્રાઈમબ્રાંચે બુરાડીના આ મકાનમાંથી મળી આવેલા 11 મૃતદેહના મગજનુ મનોવૈજ્ઞાનિક પરીક્ષણ કરાવ્યુ હતું. જેના આધારે ક્રાઈમબ્રાંચ એ નિર્ણય પર પહોંચી કે, આ ઘટના હત્યા અથવા આત્મહત્યા નહીં પણ દુર્ઘટના હતી. આ મનોવૈજ્ઞાનિક એનાલિસીસ રીપોર્ટ છે. જેમાં સ્પષ્ટપણે જણાવાયુ છે કે, મનોવૈજ્ઞાનિક પરીક્ષણથી જાણવા મળ્યુ છે કે બુરાડી કાંડ એ આત્મહત્યા નહીં પણ પૂજા દરમિયાન થયેલ એક અકસ્માત હતો. આ અકસ્માતમાં સામેલ ઘરના કોઈપણ સભ્યને એ વાતની જાણ નહતી કે આમ કરવાથી તેમનું મૃત્યુ થઈ જશે.