સીબીઆઈ ડાયરેક્ટર આલોક વર્માને રજા પર મોકલી દેવાની ઘટનાને સીધી જ રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી એકવાર પ્રધાનમંત્રી મોદી પર હુમલો કર્યો છે.
કોંગ્રેસ અધ્યક્ષે ગુરુવારે સાંજે પ્રેસ કોન્ફરન્સ કરીને પ્રધાનમંત્રી પર રાફેલ ડીલમાં કથિત ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા મહત્વના પુરાવાઓ નષ્ટ કરવાનો ગંભીર આરોપ લગાવ્યો. એમણે કહ્યું કે, સીબીઆઈ ડાયરેક્ટરને રાત્રે 2 વાગ્યે હટાવી દેવામાં આવ્યા, જેનું મુખ્ય કારણ રાફેલ ડીલમાં ભ્રષ્ટાચાર છે.
રાહુલ ગાંધીએ કહ્યું કે, HAL પાસેથી 30 હજાર કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છીનવીને અંબાણીને આપી દેવામાં આવ્યો. એ ભ્રષ્ટાચાર પર પડદો નાખવા એક પછી એક ખોટા પગલાંઓ લેવાઈ રહ્યા છે. ચોકીદારે ચોરી કરી અને નરેન્દ્ર મોદી પકડાઈ ગયા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, સીબીઆઈ ડાયરેક્ટરની નિયુક્તિ 3 લોકોની સમિતિ કરે છે, પીએમ, વિપક્ષ નેતા અને સીજેઆઈ. એમણે કહ્યું કે, સીબીઆઈ ડાયરેક્ટરને પ્રધાનમંત્રીએ રાતે 2 વાગે હટાવ્યા, આ ભારતના સંવિધાન, સીજેઆઈ, વિપક્ષ નેતા અને ભારતના લોકોનું અપમાન છે. આ ગેરકાનૂની અને અપરાધિક છે. એમણે એમ. નાગેશ્વર રાવને સીબીઆઈના વચગાળાના ડાયરેક્ટર બનાવવા પર પણ સવાલ ઉઠાવ્યા હતા.