નવી દિલ્હી,
લાંચકાંડમાં ફસાયેલી દેશની ટોચની તપાસ એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI)માં ચાલી રહેલા વિવાદ મામલે મંગળવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જો કે આ સુનાવણી વધુ એકવાર ૨૯ નવેમ્બર સુધી ટાળી દેવામાં આવી છે.
CVCના રિપોર્ટ પર CBIના ટોચના ઓફિસર આલોક વર્માનો જવાબ મીડિયામાં છપાયાને લઈ કોર્ટ દ્વારા નારાજગી વ્યક્ત કરવામાં આવી છે.
ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ જણાવ્યું, “તેઓ કારણ વિના કહી રહ્યા છે કે, આજે આ મામલાની સુનાવણીથી ઈચ્છુક નથી. આ મામલે ૨૯ નવેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે, જયારે આ ખંડપીઠ ઉપલબ્ધ હશે”.
આ સુનાવણી દરમિયાન પોતાની નારાજગી વ્યક્ત કરતા CJIએ આલોક વર્મા અંગે છાપવામાં આવેલા રિપોર્ટ અંગે તેઓના વકીલ ફલી નરિમન પાસે તેઓની પ્રતિક્રિયા માંગી છે.
આ પહેલા મંગળવારે હાથ ધરાઈ હતી સુનાવણી
મહત્વનું છે કે, આ પહેલા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા રંજન ગોગોઈના વડપણ હેઠળની ખંડપીઠ દ્વારા હાથ ધરવામાં સુનાવણીમાં આલોક વર્માને CVC રિપોર્ટ પર મહત્વની ટિપ્પણી કરવામાં આવી હતી અને તેઓ પાસે જવાબ માંગવામાં આવ્યો હતો.
કોર્ટે કહ્યું હતું કે, CVC દ્વારા સીલબંધ કવરમાં રિપોર્ટ સોપવામાં આવ્યો હતો, ત્યારે હવે આ રિપોર્ટનો જવાબ પણ બંધ કવરમાં માંગ્યો છે, કારણ કે અમે CBIની ગરિમા જાળવી રાખવા માંગીએ છીએ.